top of page

મિથ્યાત્વ કોને કહેવાય ?

  • Jul 30
  • 2 min read

Updated: Aug 1

A spiritual diagram or illustrative representation of Mithyatva (wrong belief) versus Samyag (right belief) concerning the soul's journey toward liberation in Jainism

પ્રશ્ન : મિથ્યાત્વ કોને કહેવાય ?

ઉત્તર :

મિથ્યા’ શબ્દનો અર્થ છે - ‘ખોટું’. ખોટી માન્યતાને મિથ્યા માન્યતા કહેવાય.

આત્મામાં રહેલો એવો દોષ કે જે મોટા ભાગની અથવા મહત્ત્વની માન્યતાઓને મિથ્યા (ખોટી) કરે – તેનું નામ મિથ્યાત્વ.

જેની બધી માન્યતા ખોટી હોય, એવું તો લગભગ કોઈ ન મળે. મૂર્ખ વ્યક્તિ પણ, દિવસને દિવસ જ માને, રાતને રાત જ માને.


જેની બધી માન્યતા સાચી હોય, તેવા તો કેવલજ્ઞાની જ મળે. કેવલજ્ઞાની સિવાય દરેક વ્યક્તિમાં કોઇક ને કોઇક બાબતનો ભ્રમ હોઈ શકે છે, કોઇક ને કોઇક માન્યતા મિથ્યા હોઈ શકે છે. (કેવળજ્ઞાન-પ્રાપ્તિની પૂર્વક્ષણે પણ અસત્ય વચનયોગ હોઈ શકે છે – એમ શાસ્ત્ર કહે છે.)


એટલે પ્રશ્ન થાય – કઈ માન્યતાઓ ખોટી હોય, તો મિથ્યાત્વ નામનો દોષ માનવાનો ? એનો જવાબ છે ‘આત્માને હિતકર શું ? અહિતકર શું ?’ એ વિષયની માન્યતા જેની ખોટી હોય, તેનામાં મિથ્યાત્વ દોષ માનવાનો.

રાગ-દ્વેષ આત્માના શત્રુ છે, કારણકે બધા દુઃખોનું મૂળ છે...એટલે, જે રાગ-દ્વેષ ઘટાડે, તે આત્માને હિતકર છે. રાગ-દ્વેષ વધારે, તે આત્માને અહિતકર છે.

આવી માન્યતા સમ્યગ્ છે. આનાથી વિપરીત માન્યતા મિથ્યા છે. તેવી માન્યતા હોય, તેનામાં મિથ્યાત્વ નામનો દોષ છે.


જે રાગ-દ્વેષ ઘટાડનાર છે, તે હિતકર હોવાથી આચરવા જેવું (ઉપાદેય) છે.

જે રાગ-દ્વેષ વધારનાર છે, તે અહિતકર હોવાથી છોડવા જેવું (હેય) છે....

જેમણે રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ કર્યો છે, તે જ સર્વોત્કૃષ્ટ હિતને પામી ચૂકેલા પરમાત્મા છે. જે રાગ-દ્વેષનો નાશ કરવા માટે પ્રયત્નશીલ છે, અને બીજાને રાગ-દ્વેષનો નાશ કરવાનો ઉપદેશ આપે છે, તે જ સાચા ગુરુ છે.

રાગ-દ્વેષના નાશનો માર્ગ – એ જ સાચો ધર્મ છે.

આવી બધી માન્યતા સમ્યગ્ છે. તેમાં ઉપાદેયમાં ઉપાદેય, હેયમાં હેય, સાચા દેવ-ગુરુ-ધર્મમાં જ દેવ-ગુરુ-ધર્મની રુચિ (લાગણી) હોવાથી તેને તત્ત્વરુચિ કહેવાય છે. એનાથી વિપરીત લાગણી – તત્ત્વમાં અરુચિ કે અતત્ત્વમાં રુચિ – એ મિથ્યાત્વ છે.


અહીં એ ધ્યાનમાં રાખવું કે જ્ઞાનનો ક્ષયોપશમ ન હોવા વગેરે કારણે હિતકરને અહિતકર માની લે... પણ જો જ્ઞાનીની વાત સ્વીકારવાની (પોતાની વાત છોડવાની) તૈયારી હોય, તો કોઈક માન્યતા મિથ્યા હોવા છતાં, મિથ્યાત્વ નામનો દોષ નથી. કારણ એ છે કે માન્યતા સમ્યગ્ બનવાની યોગ્યતા (જ્ઞાની પર શ્રદ્ધા) પડી છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page