top of page

તપના આગલા દિવસે ચોવિહાર ફરજિયાત છે ?

  • Mar 21
  • 2 min read

પ્રશ્ન : બીજા દિવસે તપ કરવો હોય, તો આગલા દિવસે ચોવિહાર કરવો ફરજિયાત છે?

ઉત્તર : પહેલાં એ કહો – નવકારશી એટલે શું ?


સભા : સૂર્યોદયથી બે ઘડી સુધી ન વાપરવું તે.

એટલે સૂર્યોદયથી પાંચ મિનિટ પહેલાં વાપરે, તો ચાલે ? તેને નવકારશી કહેવાય ?


સભા : રાતના ૧૨ વાગ્યા પછી ખાધેલું ન હોવું જોઈએ.

એક વાત ધ્યાનમાં રાખો – રાતના ૧૨ વાગે દિવસ બદલાય, એ અંગ્રેજી પદ્ધતિ છે. ત્યારે તારીખ બદલાય છે. આપણે ત્યાં સૂર્યોદયે દિવસ બદલાય છે.

આજે શુક્રવાર છે. ૬:૧૫ ના સૂર્યોદય છે, તો ૬:૧૪ સુધી ગુરુવાર જ ગણાય, ગુરુવારની રાત ગણાય. (જો કે, સવારે ઊઠીને રાત્રિના છેલ્લા પ્રહરમાં કરાતાં કાર્યો, બીજા દિવસના ગણાય છે.) એટલે, ૧૨ વાગ્યા પછી ખાધેલું ન હોવું જોઈએ – એ વાત તો ન હોઈ શકે.


વાસ્તવમાં, નવકારશી પચ્ચક્ખાણ, એ રાત્રિભોજન-ત્યાગની તીરિત નામની શુદ્ધિ છે - એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.

એટલે, ગઇકાલના સૂર્યાસ્ત પછી (રાત્રિ શરૂ થઇ ત્યારથી) ન ખાધું હોય, તે નવકારશી સાચી કહેવાય.

જો નવકારશી માટે પણ આ વાત હોય, તો બીજાં પચ્ચક્ખાણો માટે તો તે જરૂરી બને જ. છતાં, રાત્રિભોજન વ્યાપક બન્યું છે. જો રાત્રે ખાનારને નવકારશીનો નિષેધ કરાય, તો કદાચ ૮૦% લોકો નવકારશી કરી ન શકે – તેવી આજે હાલત છે. એટલે, જેણે રાત્રે ખાધું હોય, તેને નવકારશી વગેરે કરવાનો નિષેધ હાલમાં કરાતો નથી – તે એક આચરણા સમજવી. પણ તેનો અર્થ એવો નથી કે રાત્રે ગમે ત્યારે ખાધું હોય, તે બીજા દિવસે કોઇપણ પચ્ચક્ખાણ કરી શકે.

સૂર્યાસ્ત પછી ૧ પ્રહર (અંદાજે ૧૦ વાગ્યા) સુધી વાપર્યું હોય, તે બીજે દિવસે નવકારશી વગેરે પચ્ચક્ખાણ કરે – તે આપવાદિક આચરણા સમજવી.

વિશિષ્ટ તપ કરવો હોય, તેણે તો આગલે દિવસે રાત્રિભોજન-ત્યાગ કરવો જ જોઇએ.

વાસ્તવમાં તો ચોવિહાર એ જ સાચો રાત્રિભોજન-ત્યાગ છે. પણ હાલમાં રાત્રિભોજન-ત્યાગ કરનારા મોટા ભાગના ગૃહસ્થો રાતના પાણી તો વાપરતા જ હોય છે, અને તેમને બીજા દિવસે તપ કરવાનો નિષેધ નથી કરાતો – તે પણ એક આચરણા સમજવી.


ટૂંકમાં, તપ કરવો હોય, તેણે આગલા દિવસે રાતના ન જ ખાવું જોઈએ.

પણ, રાતના ખાધું જ હોય, તો બીજે દિવસે કોઈ પચ્ચક્ખાણ ન થઈ શકે – એવું હાલ કહેવાતું નથી.

પણ તેમાં પ્રસ્થાપિત મર્યાદાઓનો લોપ તો ન જ થવો જોઇએ.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page