શાસ્ત્રવચનનું તાત્પર્ય ખોળીએ...
- May 30
- 1 min read

સભા : ‘થાળી ધોઇને પીવાથી આયંબિલનો લાભ મળે’- તેવું કહેવાય છે,તેનું તાત્પર્ય શું ?
જો એનો અર્થ એમ જ કરો કે ૧ આયંબિલથી જેટલું પુણ્ય બંધાય,તેટલું જ પુણ્ય થાળી ધોઈને પીવાથી બંધાય;તો પછી તો આયંબિલ કરવાની જરૂર જ નહીં રહે. ઊલ્ટું આયંબિલ કરનારને ૧ આયંબિલનું પુણ્ય બંધાશે;નવકારશી કરનાર ૩ વાર થાળી થોઇને પીશે,તો ૩ આયંબિલનું પુણ્ય બંધાશે.
એટલે આનું તાત્પર્ય આવું હોઇ શકે – થાળી ધોઇને ન પીવાય,તો સંમૂર્ચ્છિમ મનુષ્યની હિંસા થાય. તેનું પ્રાયશ્ચિત્ત ૧ આયંબિલ આવતું હોઇ શકે. એટલે જો થાળી ધોઇને પીવે,તો તે પાપથી બચી જાય – તેને લાભ રૂપે બતાવ્યો.જેમ નફો ઓછો થવો,તે નુકસાન છે;તેમ નુકસાન ઓછું થવું,તે લાભ ગણાય જ છે. અલબત્ત,આ મારી કલ્પના છે. ગીતાર્થો કોઇ બીજું પણ તાત્પર્ય કાઢી શકે. પણ ૧ આયંબિલ જેટલું પુણ્ય બંધાય તેવું તાત્પર્ય ન હોય.
સભા : તેમ કહેવાથી થાળી ધોઇને પીવાનું શરૂ કરતા હોય,તો કહેવામાં વાંધો શું?
કોઇને કોઇપણ ધર્મ કરાવવા માટે,શાસ્ત્રમાન્ય લાભ બતાવી શકાય,ગમે તેવા -મન ફાવે તેમ નહીં.
હું અટ્ઠમ કરાવવા માટે તેના શાસ્ત્રમાન્ય લાભ બતાવું,ત્યાં સુધી બરાબર છે.. પણ કોઇને અટ્ઠમ કરાવવા માટે,‘અટ્ઠમ કરવાથી દીક્ષા લેવા જેટલું ફળ મળે...’ તેમ તો ન જ કહેવાય ને ?
સારા આશયથી,સારું કામ કરાવવા માટેનો ઉપદેશ પણ શાસ્ત્રમર્યાદાની અંદર રહીને જ કરાય. નહીં તો ઊંધા અર્થઘટનો થવાથી અનેક નુકસાનો થાય. થાળી ધોઇને પીવામાં આયંબિલનો લાભ બતાવવાથી,આયંબિલ છોડીને કોઇ થાળી ધોઇને પીવા માંડે,તો ?
Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments