દાન–વિવેક...
- 3 days ago
- 2 min read

પર્યુષણ નજીક છે... વાર્ષિક ખર્ચને પહોંચી વળવા માટે પર્યુષણ માં ફંડો થશે... ઉદારદિલ શ્રેષ્ઠીવર્યો છૂટે હાથે સંપત્તિનું દાન કરશે... જો તમે દાનના ફળના ગુણાકાર કરવા માંગતા હો, તો આટલું ધ્યાન રાખવા જેવું છે -->
વ્યાખ્યાનમાં ફંડ થાય – તેની રાહ જોવાને બદલે પર્યુષણ પહેલાં જ (પેઢીમાં કે ટ્રસ્ટીનો સંપર્ક કરીને) તમારી રકમ લખાવી દેવી. જેટલું વહેલું લખાવશો, તેટલું વહેલું પુણ્ય બંધાશે... વધારે બંધાશે.. રકમ તો આપવાની જ છે, એટલી જ આપવાની છે.. તો વધારે પુણ્ય કેમ ન બાંધવું ?
શક્ય એટલી વહેલી રકમ ભરી દેવી... રકમ ભરવામાં વિલંબ – એ દાનનું દૂષણ છે, જે તેના ફળના ભાગાકાર કરે છે.
મોડું કરીને પણ એટલી જ રકમ આપવાની છે, તો મોડું કરીને પુણ્યને ઘડાકાબંધ ઘટાડવું શા માટે ?
જે ક્ષેત્રમાં ખર્ચ વધુ હોય – આવશ્યકતા વધુ હોય, તેમાં દાન કરવાથી વધુ લાભ મળે છે.. એટલે સાધારણ, પાઠશાળા, આયંબિલ ખાતું.. જેવાં ક્ષેત્રોને પ્રાધાન્ય (priority) આપવું..
જે ધર્મસ્થાનોનો આરાધના માટે તમે ઉપયોગ કરો છો, તેનો નિભાવ – એ તમારી જવાબદારી છે. તેનો નિભાવ થશે, તો જ ભવિષ્યમાં તમે-તમારા સંતાનો આરાધના કરી શકશો. એટલે વાસ્તવમાં આ દાન નથી, ખર્ચનો તમારા ફાળે આવતો ભાગ છે.
દાન આપીને આપણે કોઈના પર ઉપકાર નથી કરતાં; સંઘ આપણી સંપત્તિ લઈને, આપણને પુણ્ય બાંધવાની તક આપીને આપણા પર ઉપકાર કરે છે... એ ભાવનાથી ભાવિત થવું.
પુણ્યબંધ એ દાનનું મામૂલી બાહ્ય ફળ છે... જે આરાધના માટે દાન આપો, તે આરાધના પ્રત્યે તમારું બહુમાન વધે... તમારા જીવનમાં એ આરાધના આવે - દૃઢ બને - વધે- વિશુદ્ધ થાય... એ દાનનું સાચું ફળ છે.
સંપત્તિની મૂર્ચ્છા તૂટે- એ પણ દાનનું એક સરસ આંતરિક ફળ છે. એ ફળના પ્રધાન લક્ષ્ય (Main Target) થી દાન આપવું.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments