ભગવાનની પાસે ગુરુની મૂર્તિ રખાય ?...

પ્રશ્ન : ભગવાનની પાસે ગુરુની મૂર્તિ રખાય ?
ઉત્તર :
કોઈ પણ જિનાલયમાં ભગવાનની લગોલગ ગુરુમૂર્તિ જોવા મળતી નથી. હોય, તો પ્રાયઃ બાજુમાં, જુદા ગોખલામાં હોય છે.
પ્રભુ અને ગુરુ બંને પૂજ્ય છે. – એમાં કોઈ પ્રશ્ન નથી. નવપદમાં પરમાત્માની સાથે ગુરુ ભગવંત હોય જ છે. નવકાર મંત્રમાં બંનેને નમસ્કાર છે.
છતાં, તેમાં ક્રમ તો છે જ – પહેલાં પરમાત્મા, પછી ગુરુ ભગવંત. એટલે, બંનેને સમાન સ્થાન નથી અપાતું.
પરમાત્માની લગોલગ (નીચા આસને પણ) ગુરુમૂર્તિ નથી રખાતી, જુદા સ્થાને જ પધરાવાય છે – એ વિવેક છે.
અલબત્ત, ગણધર ભગવંતો (કે કેવલજ્ઞાન પામેલા અન્ય ગુરુ ભગવંતો)ની સિદ્ધ સ્વરૂપની મૂર્તિ હોય, તો પરમાત્માની પાસે પધરાવી શકાય.
ગૃહજિનાલયમાં જગ્યા ઓછી હોવાથી કોઈએ પરમાત્માની પાસે ગુરુમૂર્તિ (કે ફોટો)રાખી હોય, તો તે અલગ વિષય છે. મોટે ભાગે તે દર્શનીય જ હોય છે.
ક્વચિત્ પ્રક્ષાલપૂજા વગેરે કરવા માટે ધાતુના પરમાત્માની પાસે ધાતુની ગુરુમૂર્તિ થોડા સમય માટે રાખવામાં આવે, તો તે કાદાચિત્ક છે.
એક મહત્ત્વની વાત – આ પ્રશ્નોત્તરનો ઉપયોગ પોતાની સમ્યક્ પ્રવૃત્તિ માટે કે અજ્ઞાની જીવોના અજ્ઞાનનું (કરુણાથી) નિવારણ કરવા માટે કરશે – તેનું આત્મહિત થશે. બીજાની નિંદા કરવા માટે – તોડી પાડવા માટે ઉપયોગ કરનારો આ વાંચવાનો અધિકારી જ નથી.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments