પ્રતિજ્ઞા લઈએ તો અજાણતા કે ભૂલી જવાથી ભાંગી જાય છે તો શું કરવું ?
- Jul 17
- 1 min read
Updated: 3 days ago

પ્રશ્ન : પ્રતિજ્ઞા લઈએ તો અજાણતા કે ભૂલી જવાથી ભાંગી જાય છે તો શું કરવું ?
ઉત્તર : પ્રતિજ્ઞા ન લો, એટલે અવિરતિનું પાપ તો ઊભું જ રહે.
વળી નિયમ ન હોય, તો પ્રલોભન આવે ત્યારે લપસી જવાની શક્યતા ઘણી વધારે છે. પ્રતિજ્ઞા લેવાથી અવિરતિનું પાપ તો ટળે જ; દૃઢતા પણ આવે, સામાન્ય પ્રલોભનમાં ફસાવાય નહીં. એટલે પ્રતિજ્ઞા લેવામાં લાભ જ છે.
જેને ‘પ્રતિજ્ઞા પાળવી જ છે’ એવી ઈચ્છા છે, તેવો પુરુષાર્થ છે, યાદ રાખવા માંગે છે, કાળજી કરે છે.. તેને અજાણતા ભંગ થાય કે ક્યારેક ભૂલી જવાથી ભંગ થાય - તે પાપ બહુ નાનું છે. તેના કરતાં પ્રતિજ્ઞાનો લાભ બહુ મોટો છે. એટલે અજાણતા - વિસ્મૃતિના કારણે થતા ભંગના ભયથી પ્રતિજ્ઞા ન લેવી - તે બરાબર નથી. હા, કોઈપણ રીતે ભંગ થઇ જાય, તો પ્રાયશ્ચિત્ત અવશ્ય લેવું.
પ્રશ્ન : બાળક બાધા લે, તો તોડી નાખશે - તેવો ભય હોય છે. તો શું કરવું ?
ઉત્તર : ઉપવાસ પહેલી વાર કરાવવો હોય તો નવકારશી-એકાસણાનું પચ્ચક્ખાણ આપીને કરાવાય. એક વાર બરાબર કરે, તો બીજી વાર ઉપવાસનું પચ્ચક્ખાણ અપાય.
તે રીતે, જે બાધા લેવી છે, તેની પૂરી સમજણ-દૃઢતા છે - તેવું લાગે તો ના ન પાડવી. વગર સમજણે લેતો હોય તો અમુક જયણા રાખીને, થોડા સમયની આપવી. જેમ કે શિબિર સાંભળીને આઈસ્ક્રીમની બાધા માંગે.. તમને લાગે કે કોઈ પ્રસંગે આઈસ્ક્રીમ જોશે તો ખાઈ લેશે.. તો મહિનામાં ૨૫-૨૭ દિવસની બાધા અપાવવી. સર્વથા ના ન પાડવી.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments