જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ?
- Jun 11
- 2 min read

પ્રશ્ન : જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ?
ઉત્તર : સ્વચ્છંદતા એટલે શું ? તે કહો.
સભા : સ્વમતિ.
એમ, તો બધા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ કાર્ય કરે. એટલે સ્વમતિ તો સર્વત્ર હોય.
સભા : શાસ્ત્રમાં ન કહ્યું હોય, તે સ્વમતિથી કરે – તે સ્વચ્છંદતા.
એક વાત ધ્યાનમાં લો – બધા અપવાદ શાસ્ત્રમાં બતાવેલા હોતા નથી, બતાવવા શક્ય પણ નથી. મને કહો – ‘સાધુ બિમાર પડે અને હોસ્પિટલમાં લઇ જવા પડે, તો વાહનમાં લઇ જઇ શકાય’ – એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ?
કોઇપણ શાસ્ત્રમાં એવું લખ્યું નથી. એ સંભવિત પણ નથી, કારણકે શાસ્ત્રરચનાકાળે ન હોસ્પિટલ હતી, ન વાહન હતા. તો, આ અવસરે વાહનમાં લઇ જનારને (કે તેવી રજા આપનારને) સ્વચ્છંદતા કહેશો ?
તો પછી બધા જ સ્વચ્છંદ કહેવાશે.
જ્ઞાનીની મતિ શાસ્ત્ર-પરિકર્મિત હોય છે. શાસ્ત્રના અભ્યાસ-પરાવર્તન-ચિંતન-ભાવનથી એમની મતિ એવી ઘડાઇ ગઇ હોય છે કે તેમને જે વિચાર આવે, તે શાસ્ત્રાનુસારી જ હોય, ભલે શાસ્ત્રમાં સાક્ષાત્ તેવું જણાવ્યું ન હોય.
તેવી શાસ્ત્ર-પરિકર્મિત મતિથી જે નિર્ણય લેવાય, તેને સ્વચ્છંદતા ન કહેવાય.
એવું માનશો, તો આર્યરક્ષિતસૂરિજી મ. કે દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણને ય સ્વચ્છંદ માનવા પડશે, કારણકે શાસ્ત્રમાં ન જણાવેલ અપવાદો તેમણે આચર્યા છે, આચરાવ્યા છે.
સભા : ગુરુને ન પૂછે તે સ્વચ્છંદતા.
એ વાત અપેક્ષાએ સાચી છે, પણ સર્વત્ર તે શક્ય નથી હોતું.
કોઈ મહાત્માને હાર્ટ-એટેક આવે, ત્યારે બાજુવાળા મહાત્મા ગુરુને પૂછવા જાય, તો રામ રમી જાય... તે અવસરે પોતાને સૂઝે તે કરી લે.
જેમના કોઈ વડીલ વિદ્યમાન જ ન હોય, તેવા ગચ્છાધિપતિ વગેરે કોને પૂછે ?
સભા : તો સ્વચ્છંદતા કોને કહેવાય ?
જે પોતે અજ્ઞાની છે, પોતે અજ્ઞાની હોવાનું જાણે છે. છતાં જ્ઞાનીને પૂછ્યા વિના કરે – તે સ્વચ્છંદતા છે .
જે શાસ્ત્રવિરુદ્ધ હોવાનું જાણવા છતાં, સ્વાર્થ માટે કરે.
બીજા વડીલને–જ્ઞાનીને પૂછવું જરૂરી હોય, પૂછી શકાય તેવી શક્યતા હોય, છતાં પૂછ્યા વિના કરે...એ સ્વચ્છંદતા ગણાય.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments