ધર્મનું ફળ શું જોઈએ છે ?...
- 23 hours ago
- 1 min read

ધર્મનું ફળ બે પ્રકારનું હોઈ શકે
૧. ગુણપ્રાપ્તિ-દોષનાશ.
૨. પુણ્યબંધ-પાપકર્મનાશ – તેનાથી સદ્ગતિ-સંપત્તિની પ્રાપ્તિ વગેરે.
શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ન્હવણજળથી આંખનો મોતિયો જાય, તે બીજા પ્રકારનું ફળ છે. આંખનો વિકાર ઘટે, તે પહેલા પ્રકારનું ફળ છે.
પ-૧૦ લાખમાં પ્રભુનો કોઈ ચઢાવો લીધો.. તેના પ્રભાવે ભવાંતરમાં અપાર સંપત્તિ મળે (જેમ કુમારપાળ મહારાજાને પુષ્પપૂજાના પ્રભાવે રાજ્ય મળ્યું) – તે પુણ્યબંધ.
અને લોભકષાય ઘટે – પરિગ્રહસંજ્ઞા ઘટે.. ખૂબ કમાવાની – ભેગું કરવાની બુદ્ધિ ઘટે – સંતોષ આવે.. તે દોષનાશ-ગુણપ્રાપ્તિ.
સાધુપણું પાળવાથી દેવલોક મળે – નરક ટળે.. તે પુણ્યબંધ. મન સમાધિમય બને, ગમે તે પરિસ્થિતિમાં ખળભળે નહીં; તેવી સમતાની પ્રાપ્તિ – તે ગુણપ્રાપ્તિ-દોષનાશ.
આયંબિલથી ૧૦,૦૦૦ ક્રોડ વર્ષના નારકીના દુઃખો ટળે – તે પાપનાશ. વારંવાર આયંબિલ કરવાથી સ્વાદની અપેક્ષા-આસક્તિ ઘટે, જેવું હોય, તેવું ચલાવવાની વૃત્તિ આવે – તે દોષનાશ-ગુણપ્રાપ્તિ.
નવકાર ગણવાથી ૫૦૦ સાગરોપમના નરકના દુઃખ ટળે – તે પાપનાશ. ગમે તેવી આપત્તિમાં મન સમાધિમાં રહે – તે ગુણપ્રાપ્તિ.
ધર્મનાં ફળ તો બંને છે. તમારે શું જોઈએ ?
સભા : બંને જોઈએ.
બંનેમાં પ્રધાનપણે શું જોઈએ ?
બજાર જતી વખતે શ્રાવિકાએ કહ્યું હોય કે ‘ગાંઠીયા લેતા આવજો.’
જેના માટે બજાર ગયા, તે સોદો ન થાય અને ગાંઠીયા મળે; તો બજારે જવાનું સફળ માનો કે નિષ્ફળ ?
નિષ્ફળ જ, કારણકે ગાંઠીયા લાવવા તે ગૌણ પ્રયોજન હતું, સોદો એ પ્રધાન પ્રયોજન હતું.
કાર્યનું પ્રધાન ફળ મળે, તો સફળ લાગે, આનંદ થાય; ભલે ગૌણ ફળ ન પણ મળે. અને પ્રધાન ફળ ન મળે, તો ગૌણ ફળ મળવા છતાં આનંદ ન થાય.
તમને ધર્મના ફળ તરીકે બેમાંથી એક જ મળવાનું હોય, તો શું જોઈએ ? શું મળે તેમાં આનંદ ?
Extract from Book Aho Jinshasanam written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments