ધર્મ અને અધર્મ...
- Mar 28
- 2 min read

ધર્મ કોને કહેવાય ? જે આપણાં રાગ-દ્વેષ રૂપી દોષોને ઘટાડે, અને તેથી આપણને સુખી કરે,
તેને ધર્મ કહેવાય.
જે હકીકતમાં રાગ-દ્વેષને ઘટાડે નહીં, ઊલ્ટું વધારે, અને તેથી જીવને સુખી કરવાને બદલે દુઃખી
જ કરે, તેને ધર્મ શી રીતે કહેવાય ? તેને અધર્મ જ કહેવાય.
તેને કોઇ અજ્ઞાની વ્યક્તિ 'ધર્મ' નું લેબલ લગાડી દે, તેટલા માત્રથી, તે ધર્મ ન બની જાય,
આપણને સુખી ન કરી શકે.
જુઓ, પ્રભુની વાત ખૂબ જ સરસ છે. આપણને નામ સાથે નિસબત નથી. જૈન ધર્મ જ સાચો,
બીજા ધર્મ ખોટા – એવું આપણે કહેતા નથી.
આપણી વાત એ જ છે કે – જે જીવના દોષો ઘટાડવા દ્વારા સુખી કરે, તે ધર્મ છે.
'જૈન' નામ નીચે પણ કાર્ય એવું થતું હોય કે જે દોષોને વધારે, તો તે ધર્મ નથી. કલિકાળમાં
આવું ઘણું થાય છે.
અને નામથી જૈન ન હોવા છતાં કાર્ય એવું હોય કે દોષોને ઘટાડે, તો તે ધર્મ છે, એવું માનવા
જિનશાસન તૈયાર છે.
એટલે, જે દોષોને ઘટાડે, તે જ ધર્મ છે; બીજા નહીં.
કોઇ એવું કહે કે આપણે એ નહીં જોવાનું... કોઇએ જેને ધર્મનું લેબલ લગાડી દીધું, તેને ધર્મ
માની લેવાનો... તો તેને શું કહીશું ?
જે રોગ મટાડે, તે દવા કહેવાય. તેના બદલે કોઇ એમ કહે કે જેના પર 'દવા'નું લેબલ હોય, તેને
દવા માની લેવાની... આંખ મીંચીને લઇ લેવાની... તેને શું કહીશું? મૂર્ખાઇ, કે બીજું કાંઇ ? તેનું
પરિણામ શું આવે ? મોત કે બીજું કાંઇ ?
'દવા' નું લેબલ હોવાથી દવા માની ન લેવાય, ખરેખર દવા હોવી જોઇએ – રોગ મટાડતી હોવી
જોઇએ.
તે રીતે, ધર્મનું લેબલ હોવા માત્રથી ધર્મ માની ન લેવાય.. ખરેખર ધર્મ હોવો જોઇએ, દોષ
ઘટાડતો હોવો જોઇએ...
આવો ભેદ કરવો એ વિવેક છે. તેને ભેદભાવ ન કહેવાય...
Extract from Book Samyaktva written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments