top of page

સમર્પણ...

  • Apr 13
  • 2 min read

Updated: 7 days ago


  • સમર્પણનો અર્થ એવો કરાય છે કે ‘આપણી કોઇ ઇચ્છા જ ન હોવી.’ 

    એ ઉચિત છે ખરો ?

    દોષનાશ અને ગુણપ્રાપ્તિની ઇચ્છા સદા લક્ષ્યરૂપે હોવી જરૂરી નથી ? 

    એ જ સંવેગ છે ને ?

    તેના માટે પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે, તે માર્ગે ચાલવાની ઇચ્છા હોવી પણ જરૂરી નથી ?

    એ જ જિનાજ્ઞાપાલનનો પરિણામ છે ને ?

    ઉત્તમ સાધનાઓના મનોરથો કરવાના વિધાન શાસ્ત્રોમાં નથી ? ચારિત્રમનોરથમાળા નામનો આખો ગ્રંથ છે.

    બારસા સૂત્રમાં સૂત્રો છે – સાધુને તપ કરવાની ઇચ્છા થાય, તો ગુરુને પૂછીને કરવો કલ્પે. તો ત્યાં ઇચ્છાને અસમ્યગ્

    તો બતાવી નથી જ ને ?

    ઇચ્છાશૂન્ય મન હોવું, શક્ય છે ખરું ? ઇચ્છા વિના મન હોય નહીં, મન વિના સંજ્ઞીપણું ન હોય.


  • વસ્તુતઃ મને સમર્પણનો આવો અર્થ સમજાય છે 🡺

    અપ્રશસ્ત ઇચ્છાઓ તો જિનાજ્ઞા-વિરુદ્ધ હોવાથી જ સાધુએ કરવાની નથી.

    પ્રશસ્ત ઇચ્છા કરવાની છૂટ છે. એટલું જ નહીં, કરવાની જ છે. તેના વિના અપ્રશસ્ત ઇચ્છાઓથી દૂર રહેવું સંભવ નથી.. અશુભ સંસ્કારોનો હ્રાસ, શુભ સંસ્કારોની વૃદ્ધિ સંભવ નથી.. શુભ ઇચ્છાઓને ઘૂંટવાથી જ તેવો ક્ષયોપશમ થાય છે, સામર્થ્ય મળે છે, સંયોગો સાનુકૂળ બને છે, અને પ્રવૃત્તિ થાય છે.

    હા, એ પ્રશસ્ત ઇચ્છાઓ કરતી વખતે, ‘ગુરુની સહર્ષ અનુજ્ઞા હશે, તો જ આ વિષયમાં આગળ વધવાનું છે.. ગુરુ નિષેધ કરે, તો આ કાર્ય મારા માટે અહિતકર છે’ – એવો નિર્ણય કરીને, તેની ઇચ્છા અપ્રશસ્ત (મારા માટે, વર્તમાન દ્રવ્યાદિમાં) માનીને, તેનો નિરોધ કરવાનો છે.. અને ‘ગુરુની રજા વિના તો કશું કરવાનું નથી જ..’ એવી પરિણતિ દૃઢ-સ્થિર રૂપે અંદર કેળવેલી રાખવાની છે. એ જ સમર્પણભાવ છે.


  • સંમૂર્ચ્છિમ-અસંજ્ઞી-ઇચ્છાશૂન્ય બની જવું – એ કદી સમર્પણભાવનો અર્થ હોઇ શકે નહીં.

    ઇચ્છાશૂન્ય બનવા દ્વારા હકીકતમાં પ્રશસ્ત ઇચ્છાઓ ન કરવાનું જ કહેવાય છે, (કારણકે અપ્રશસ્ત ઇચ્છા તો જિનાજ્ઞાથી જ નિષિદ્ધ હોવાથી તેના માટે ગુર્વાજ્ઞાની જરૂર નથી.) તે આત્મઘાતી પગલું છે.

    પ્રશસ્ત ઇચ્છાનો નિરોધ કરીએ, એટલે અપ્રશસ્ત ઇચ્છાઓ મનને ઘેરી જ વળવાની છે. મન ઇચ્છાશૂન્ય રહેવાનું નથી. અનાદિકાલીન અપ્રશસ્ત સંસ્કારો જાગ્રત થવાના છે.

    પ્રશસ્ત ઇચ્છાઓને ઘૂંટ્યા વિના, અપ્રશસ્ત સંસ્કારો નિર્મૂળ થવાના નથી.


  • એટલે, અસંજ્ઞી વગેરે થવાની વાતો, અતિશયોક્તિ જ નથી, આત્મઘાતી પણ છે.


  • બીજી મહત્ત્વની વાત એ છે કે 🡺

    ગુરુની પાસે સમય કેટલો હોય ? કે જે દરેક શિષ્યનું ૨૪ કલાક નિરીક્ષણ કરીને, તેના સામર્થ્યને ઉચિત યોગોમાં અવશ્ય પ્રવર્તાવે ? એ પ્રાયઃ અસંભવ જણાય છે.

    સામાન્ય આસેવનશિક્ષા-યોગક્ષેમ-અધ્યાપન.. આટલું પણ માંડ થતું હોય છે. ત્યારે વધુ અપેક્ષા શી રીતે રખાય ?

    ત્યારે જો શિષ્ય ઇચ્છાશૂન્ય બનશે, તો શક્તિ-નિગૂહન થવાનું અનિવાર્ય છે. 

    શિષ્ય ઇચ્છા રજૂ કરે અને ગુરુ સહર્ષ અનુજ્ઞા આપે – એ રીતે જ આરાધનામાં વૃદ્ધિ થાય છે; ગુરુ ઇચ્છા જણાવે – આજ્ઞા કરે, તેની રાહ જોવાથી નહીં.

    એટલે ઇચ્છાશૂન્ય બનવામાં વિકાસ સ્થગિત જ થવાનો, કે અધોમુખી ગતિ થવાની, એ નક્કી છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page