top of page

ગુણપૂજા, વ્યક્તિપૂજા નહીં...

  • Writer: Shraman Books
    Shraman Books
  • Dec 17, 2025
  • 2 min read


  • જિનશાસનની એક અદ્ભુત વિશેષતા છે...

    જિનશાસન ગુણને મહાન્ માને છે, વ્યક્તિને નહીં.

    વ્યક્તિની મહાનતા પણ ગુણના કારણે જ હોય છે.

    આ પદાર્થ થોડા વિસ્તારથી સમજશું.

  • જિનશાસન કોઇ એક ‘વ્યક્તિ’ને ભગવાન માનતું નથી.

    ભગવાન કોને કહેવાય ? તેનો જવાબ જિનશાસન આ રીતે આપે છે – જે વીતરાગ છે અને સર્વજ્ઞ છે, તે ભગવાન છે.

    અર્થાત્ જે પણ આત્મા પોતાના રાગ-દ્વેષાદિ દોષોનો નાશ કરીને સર્વદોષમુક્ત-સર્વગુણસંપન્ન બને છે, તે ભગવાન છે.

  • અન્ય ધર્મો તરફ નજર કરીએ, તો દેખાઇ આવશે કે તે બધા કોઇ એક વ્યક્તિને જ ભગવાન માનીને ચાલે છે.. કોઇ કૃષ્ણને, તો કોઇ ઇસુને, તો કોઇ પયગંબરને...

    જિનશાસન કોઇ એક મહાવીરને જ ભગવાન માનતું નથી...

    આજ સુધી અનંત આત્માઓ પોતાના દોષોનો નાશ કરીને પરમાત્મા થયા છે, અને ભવિષ્યમાં થશે; તેમ માને છે.

  • આ માન્યતાના કારણે જિનશાસનમાં કોઇના દોષો ઉપર ઢાંકપિછોડો કરવો પડતો નથી, જેવો બીજાએ કરવો પડે છે.

  • માત્ર મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર વિચારીએ, તો...

    • ત્રીજા મરીચિના ભવમાં કરેલું કુળનું અભિમાન અને તેના કારણે અંતિમ ભવમાં બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરણ, ગર્ભાપહાર...

    • ત્રીજા ભવમાં જ શિષ્યના લોભમાં કરેલ ઉત્સૂત્ર પ્રરૂપણા અને તેના કારણે એક કોડાકોડી સાગરોપમ સંસારભ્રમણ...

    • અઢારમા ભવમાં શય્યાપાલક પર કરેલો ક્રોધ અને તેના કારણે કાનમાં ખીલા ઠોકાવાનો ઉપસર્ગ...

    આ બધું જ જિનશાસન બેધડક કહી શકે છે.

    અરે ! છેલ્લા ભવમાં દીક્ષા લીધા પછી (પણ વીતરાગ બનતાં પૂર્વે) પ્રભુએ કરેલા પ્રમાદ (ગૃહસ્થને ભેટવા માટે હાથ પહોળા કરવા રૂપ)નું વર્ણન પણ જિનશાસન ખચકાટ વિના કરે છે !

    બીજી બાજુ અન્ય ધર્મોમાં, તેમણે માની લીધેલા ઇશ્વરના કરતૂતો પર ઢાંકપિછોડો સર્વત્ર જોવા મળશે !

    છે ને, મેરા જિનશાસન મહાન્ !

  • જે આત્મા દોષમુક્ત થઇને પરમાત્મા બન્યો, તેને જિનશાસન પૂજ્ય માને છે, તે જ આત્માની દોષયુક્ત અવસ્થાને જિનશાસન પૂજ્ય માનતું નથી જ.

    એટલે જ તો મરીચિને વંદન કરતી વખતે ભરત ચક્રીએ સ્પષ્ટતા કરી છે - ‘નવિ વંદું ત્રિદંડિક વેશ...’

    એટલે જ આપણે પદ્મનાભ સ્વામી ભગવંતની મૂર્તિ ભરાવીને ભગવાન રૂપે પૂજીએ છીએ, શ્રેણિકની નહીં...

  • જે વાત પરમાત્મા માટે છે, તે જ વાત ગુરુ માટે પણ છે.

    અલબત્ત, સાધુના વેશ-આચારથી રહિત હોય, તેનામાં ગુરુના ગુણ હોવાનો સંભવ જ ન હોવાથી, તેમને ગુરુ માનીને પૂજવાનો પ્રશ્ન આવતો નથી.

    પણ જૈન સાધુના વેશયુક્ત હોવા છતાં, સાધુના મૂળભૂત ગુણો – મહાવ્રતોથી રહિત હોય તેને વંદન કરવાની જિનશાસન સ્પષ્ટ મનાઇ ફરમાવે છે... ઉપરથી તેમને વંદન કરવામાં તેના દોષોની અનુમોદનાનો દોષ બતાવે છે.

    વળી, ગુરુના ગુણોથી યુક્ત હોવાથી કોઇને જીવન-સમર્પણ કાર્ય પછી – તેના શિષ્ય બન્યા પછી પણ જો તે આત્મા કર્મને પરવશ થઇને મૂળગુણો ગુમાવી બેસે, તો જિનશાસન તેમનો ત્યાગ કરવાનું અસંદિગ્ધ વિધાન કરે છે, ભલે તે સંસાર સાગરથી તારનાર – પરમ ઉપકારી હોય...

    એટલે જ, નિહ્નવ બનેલા (પ્રભુના વચન પરની શ્રદ્ધાથી ભ્રષ્ટ બનેલા) જમાલિનો તેમના સર્વ શિષ્યોએ ત્યાગ કર્યો હતો.

  • જિનશાસન ગુણપૂજામાં માનતું હોવાથી જ, અનુમોદનાના વિષયો બતાવતી વખતે, જૈનેતરોના પણ માર્ગાનુસારી ગુણોની અનુમોદના બતાવી છે - ‘થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે...’

    અને ‘જૈન’ એવા લેબલ નીચે થતાં અમાર્ગાનુસારી કૃત્યોને વખોડી નાખ્યા છે.

  • દુનિયાના કોઇ ધર્મ પાસે આવી સમજ જ નથી...

    બીજી વ્યક્તિ ગુણવાન્ હોય, તો તેને સ્વીકારવાની ઉદારતા નથી.. પોતાની વ્યક્તિ દોષવાન્ હોય, તો તેને સ્વીકારવાની નિખાલસતા નથી.

    માત્રને માત્ર જિનશાસન આ દૃષ્ટિ ધરાવે છે, તેવો ઉપદેશ આપે છે, તેવું આચરી બતાવે છે.

    અહો ! જિનશાસનમ્ !!!


Related Posts

See All

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
2 days ago

ખૂબ જ સરસ.

Like
bottom of page