ભૂમિકા...
- Shraman Books
- Dec 17, 2025
- 2 min read
Updated: Dec 30, 2025

કરુણાસાગર અરિહંત પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જગતના જીવોને દુઃખથી રીબાતા-પીડાતા જોઇને, તેમને દુઃખથી મુક્ત થવાનો – શાશ્વત સુખને પામવાનો જે માર્ગ બતાવ્યો, તે જ જૈન ધર્મ છે, જિનશાસન છે.
એ માર્ગને અનુસરવાથી આપણે પણ સર્વ દુઃખોથી મુક્ત થઇને શાશ્વત સુખને પામી શકીએ છીએ.. જેને આપણે અનંત કાળથી ઇચ્છી રહ્યા છીએ, જેના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ, પણ હજુ પામ્યા નથી.
માર્ગને અનુસરવા માટે, ‘આ માર્ગ સાચો છે, મંઝિલે પહોંચાડનાર છે’ એવી નિઃશંક શ્રદ્ધા અનિવાર્ય છે.
દિલ્હી જવા ઇચ્છતો હોય, તેને ‘આ રસ્તો દિલ્હી પહોંચાડશે’ એવી ખાતરી હોય, તો જ પૂરઝડપે ગાડી દોડાવે. ‘આ રસ્તો ક્યાંનો છે ?’ તેનું જ્ઞાન ન હોય; ‘દિલ્હી પહોંચાડશે જ’ તેવી ખાતરી ન હોય, તો કાં તો ગાડી ઊભી રાખી દે, અથવા ઝડપ અત્યંત ધીમી કરી નાખે... રસ્તાની ખાતરી ન થાય ત્યાં સુધી ઝડપ વધારે નહીં.
પ્રભુશાસનને પામવા છતાં, યત્કિંચિત્ તેને અનુસરતા હોવા છતાં, આપણી ગાડી પૂરઝડપે ધર્મના માર્ગે દોડતી નથી; તેનું એક મુખ્ય કારણ એ છે કે ‘આ ધર્મ કરવાથી આપણને સુખ મળશે જ’ એવી ખાતરી કદાચ નથી... કદાચ શંકા છે... એ શંકા, આપણી ઝડપ તોડી નાખે છે... ધર્મના માર્ગે આગળ વધવા નથી દેતી... જે ધર્મ કરીએ છીએ, તેમાં પ્રાણ પૂરાવા નથી દેતી... તેથી તેનું ફળ પણ નહીંવત્ મળે છે... (અને એટલે જ શ્રદ્ધા વધતી નથી... આવું વિષચક્ર ચાલ્યા કરે છે.)
આ વ્યવહારિક ભાષામાં પદાર્થનું નિરૂપણ કર્યું.
શાસ્ત્રીય પરિભાષામાં આ જ પદાર્થને દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપે કહેવાય છે.
પ્રભુએ બતાવેલા માર્ગે ચાલવું, તે ચારિત્ર છે.
પ્રભુએ બતાવેલા માર્ગની જાણકારી, તે જ્ઞાન છે.
‘આ માર્ગ જ મને સુખ પ્રાપ્ત કરાવશે’ તેવી શ્રદ્ધા, તે દર્શન છે.
આ ત્રણે ભેગા મળીને મોક્ષમાર્ગ બને છે.
આ ત્રણમાં પ્રધાન સમ્યગ્દર્શન છે, શ્રદ્ધા છે; કારણકે શ્રદ્ધા વિનાના જ્ઞાનથી કોઈ કાર્ય થતું નથી અને શ્રદ્ધા વિના આચરણમાં દૃઢતા આવતી નથી.
કોઇ કહે કે ‘આ રસ્તો દિલ્હી જાય છે’; પણ જ્યાં સુધી તેની વાત પર વિશ્વાસ ન બેસે, ત્યાં સુધી એ રસ્તે કોઇ જતું નથી.
‘આ જ ધર્મ મને સુખ પ્રાપ્ત કરાવશે.’ ‘આ ધર્મ મને સુખ પ્રાપ્ત કરાવશે જ.’ એવી ખાતરી થાય, તો જ આપણી ગાડી ધર્મના માર્ગે પૂરપાટ દોડે.
એવી ખાતરી-શ્રદ્ધા શી રીતે થાય ?
તેના માટે ધર્મનાં તેવાં વિશિષ્ટ પાસાંઓનું જ્ઞાન જોઈએ.
એટલે જ સન્મતિ-તર્ક વગેરે શાસ્ત્રોમાં, દાર્શનિક ગ્રંથોનો અભ્યાસ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ-વિશુદ્ધિ માટે અનિવાર્ય બતાવ્યો છે.
અલબત્ત, તેવા અભ્યાસ વિના પણ, મોહનીય કર્મના ક્ષયોપશમથી કોઇને શ્રદ્ધા ઉત્પન્ન થઇ શકે – તેવું શાસ્ત્રકારે કહ્યું છે. પણ મહદંશે શ્રદ્ધાની પ્રાપ્તિ-દૃઢતા-નિર્મળતા, જ્ઞાનથી જ થાય છે.
આ લેખશ્રેણિમાં જિનશાસનના તેવાં કેટલાંક વિશિષ્ટ પાસાંઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરવો છે, જેને જાણવાથી જૈન ધર્મ જગતના સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ-વિશિષ્ટ-ઉત્કૃષ્ટ છે, તેવું જ્ઞાન થાય, તેવી ખાતરી થાય, શ્રદ્ધા થાય.
અલબત્ત, કોઇની લીટી નાની કરવામાં જિનશાસન કદી માનતું નથી.
એટલે જ, અન્ય દર્શનોને પણ દ્વાદશાંગી રૂપ સમુદ્રમાં મળતી નદીઓ જણાવી છે... તે દર્શનોમાં આવતી સાચી-સારી વાતોના ખંડનના નિષેધ કરેલો છે... અન્યલિંગમાં પણ વીતરાગતાની પ્રાપ્તિ બતાવી છે.
પણ, ક્ષીર-નીરનો વિવેક તો જરૂરી છે જ. દૂધને ‘દૂધ’ કહેવું અને ‘પાણી’ને પાણી કહેવું – તે પાણીની નિંદા નથી કે તેની કિંમત ઓછી કરવાનો પ્રયાસ નથી; વાસ્તવિકતાનું દર્શન માત્ર છે.
સુખના માર્ગને જ ‘સુખનો માર્ગ’ કહી શકાય.
દુઃખના માર્ગને કોઇ ‘સુખનો માર્ગ’ માનતું હોય, તો તેનો ભ્રમ ભાંગવો જ પડે; નહીં તો તે દુઃખી જ થાય.
ચાલો, એ શ્રદ્ધાના પ્રવાસનો આરંભ કરીએ...


Comments