ગુરુતત્ત્વ...
- Feb 10
- 2 min read
Updated: 1 day ago

જિનશાસનના પરમાત્મા જેમ અજોડ છે; તેમ જિનશાસનમાં ગુરુતત્ત્વ પણ અપ્રતિમ છે.
અન્ય સર્વ દર્શનોના સંન્યાસ કરતાં જિનશાસનનું સંયમ વિશિષ્ટ છે, દોષોનો નાશ કરવા માટે સક્ષમ છે.
એનું સંપૂર્ણ વર્ણન કરવા તો ગ્રંથ લખવો પડે.
કેટલીક અત્યંત જુદી તરી આવતી વિશિષ્ટતાઓ જોઇએ 🡺
વિહાર
જૈન સાધુનું પોતાનું કોઇ સ્થાન-મકાન-આશ્રમ-મઠ-ઘર હોતા નથી. સદા તેઓ ફરતા રહે છે.
એના કારણે સ્થાનના મમત્વ અને સ્થાન સાથે સંકળાયેલ વ્યક્તિઓ પ્રત્યેના મમત્વથી, અને તેના કરાણે ઊભા થઇ શકતા અનેક કષાયોથી... તેઓ બચી જાય છે.
લોચ
માથાના વાળ ખેંચીને કાઢવા... આ ઉગ્ર કષ્ટ, શરીરના મમત્વને તોડે છે... સુખશીલતા ઘટાડે છે...
વળી, આવા ઉગ્ર કષ્ટના કારણે લેભાગુઓ જૈન સાધુ બની શકતા નથી.
ગોચરી
ખાવાનું પોતાના માટે બનાવવાનું નહીં... પોતાના માટે બનાવ્યું હોય, તે પણ ખાવાનું નહીં... ઘર-ઘરથી થોડું થોડું જ લેવાનું, તે પણ પહેલેથી કહ્યા વિના જવાનું...
આવા આચારના કારણે રસનેન્દ્રિય (જીભ)ની આસક્તિ પર ઘણું નિયંત્રણ આવી જાય છે... જે મળે, તેનાથી ચલાવી લેવાની ટેવ પડે છે...
પ્રતિક્રમણ
રોજે રોજ, દિવસે અને રાત્રે થયેલી ભૂલો – કરેલાં પાપોને યાદ કરીને પ્રતિક્રમણ (પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત) કરવાનો આચાર, કરવા પડતાં પાપો પ્રત્યે પણ જુગુપ્સા ઊભી રાખે છે... સતત વિશુદ્ધિ માટેનો પુરુષાર્થ ચાલુ રહે છે... પાપના સંસ્કારો ઘટાડે છે...
અપરિગ્રહ
સંયમનિર્વાહ–દેહનિર્વાહ માટે જરૂરી ઉપકરણો સિવાય કોઇ સંપત્તિ ન રાખવાનો આચાર, અનેકાનેક દોષોથી બચાવી લે છે... સંપત્તિના અર્જન-રક્ષણ વગેરે નિમિત્તોથી થતાં સંક્લેશો સાધુને થતા જ નથી.
અસ્નાન–અવિભૂષા
જીવનભર માટે સ્નાનનો ત્યાગ... કોઇપણ પ્રકારની વિભૂષાનો ત્યાગ... આ આચાર બ્રહ્મચર્યને નિર્મળ રાખે છે.
વિજાતીયના સ્પર્શ અને પરિચયનો ત્યાગ
જૈન સાધુ સ્ત્રીનો (કે સાધ્વી પુરુષનો) સ્પર્શ પણ ન કરે, ન કરવા દે... આ બ્રહ્મચર્યને નિર્મળ રાખવા અત્યંત અનિવાર્ય આચાર છે.
સ્પર્શ તો વર્જવાનો છે જ, આંખમાં આંખ માંડીને જોવાનું પણ નથી... ફોટા સામે પણ જોવાનું નથી... મધુર સ્વર પણ સાંભળવાના નથી...
આટલી ચુસ્તતા એ જૈન દર્શનની અજોડતા છે.
સમૂહ-વિચરણ
જૈન સાધુને એકલા રહેવાનો નિષેધ છે. અન્ય સાધુઓ સદા સાથે જ હોવાથી, એકાંત કે એકલવાયાપણામાં સંભવિત અનેક દોષો સહજમાં ટળી જાય છે.
ગુરુ-નિશ્રા
સદા ગુરુની નિશ્રામાં રહેવું... બધું તેમને પૂછીને જ કરવું... આ આચાર, દૃષ્ટિરાગ નામના મહાભયાનક દોષનો હ્રાસ કરવા સાથે બીજા પણ અનેક દોષોથી બચાવે છે.
અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.




બીજા કોઈ પણ ધર્મ ના લોકો ને ટૂંક માં સમજાવા શ્રેષ્ઠ છે કે જૈન ધર્મ કેમ બેસ્ટ છે