પ્રભુ વીરનું જન્મ વાંચન...

પર્યુષણ મહાપર્વમાં પ્રભુ વીરના જન્મના વાંચનનું મહત્ત્વ અદકેરુ છે...
જિનશાસનનો બચ્ચે-બચ્ચો ત્યારે ઉપાશ્રયમાં હાજર થાય છે...
‘આરોગ્યવંત એવા ત્રિશલા માતાએ, આરોગ્યવંત એવા પુત્રને જન્મ આપ્યો...’ એ શબ્દો
સાંભળતા જાણે ત્રણ ભુવનનું રાજ્ય મળી ગયું હોય, તેમ તેનાં રોમે રોમ ઝંકૃત થઈ જાય છે...
એ શબ્દો બોલનારા ગુરુ ભગવંતો શું રોમાંચ અનુભવે છે, તે તો શબ્દાતીત છે...
આ દિવસે આપણે કયા ભાવોને ઉજાગર કરશું ?
1. જે સંપત્તિ પાછળ આખી દુનિયા ગાંડી બનીને દોડે છે... જૈનો પણ જેના માટે દિવસ-રાત,
લોહી-પાણી એક કરે છે... આ દિવસે શું થાય છે ! ખબર નહીં,
જૈનો સાપની કાંચળીની જેમ તેને છોડતા જોવા મળે છે...
અહા ! શું તેમનો પ્રભુ પ્રત્યેનો ઉછળતો પ્રેમ ! શું તેમની શ્રદ્ધા ! શું તેમની ભક્તિ !
આ નીરખતાં આપણી આંખો હર્ષાશ્રુથી છલકાય... હૃદય ગદગદ બને...
વાણી નિ:શબ્દ બને...
સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટેનું આ અનુપમ પર્વ છે, અનૂઠો અવસર છે...
એને અંતરથી માણીએ...
2. તીર્થંકર પરમાત્માનું શું અચિંત્ય પુણ્ય છે ?
જન્મ સમયે તો ત્રણેય ભુવનને આનંદિત કરે... દુકાળને સુકાળમાં પલટી નાખે...
ખારું પાણી મીઠું કરી નાખે... ધરતીને લીલીછમ કરી નાખે...
પણ એના ૨૫૦૦ વર્ષ પછી પણ, તેમના જન્મના માત્ર વાંચનથી દરેક જૈનના અંતરને
આનંદથી છલોછલ ભરી દે...અને આ પરંપરા હજુ ૧૮૫૦૦ વર્ષ ચાલતી રહેશે...
3. પરમાત્માના આ પ્રકૃષ્ટ પુણ્યને જન્મ આપનાર છે - મૈત્રી ભાવના...
‘જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી...’ આપણે એ નાદને હૃદયમાં ગૂંજવીએ...
મને મળેલું અને ગમેલું આ પ્રભુનું શાસન (પ્રભુએ બતાવેલ શાશ્વત સુખનો માર્ગ)
દરેક જીવને પહોંચાડવું છે... દરેકને ગમાડવું છે...
આ ત્રણ ભાવોથી અંતરને પ્લાવિત કરીએ...
ગુરુ ભગવંતના જન્મવાંચનના શબ્દો, આપણા હૃદયમાં પ્રભુનો જન્મ કરનારા બની જશે !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

અદ્ભુત અને અદ્દભૂત