દેહ અને આત્મા : ભેદ કે ભેદાભેદ ?...
- Jun 30
- 2 min read
Updated: 3 days ago

અતત્ત્વ : શરીરને આત્માથી ભિન્ન માનવું - એ જ સમ્યગ્ જ્ઞાન છે.
તત્ત્વ : જિનશાસન સ્યાદ્વાદમય છે.તે દેહ અને આત્માનો ભેદ પણ માને છે, અભેદ પણ માને છે...
ભેદ માનવો તે પણ એક નય છે, અભેદ માનવો તે પણ એક નય છે... જ્યારે જે નયની વિચારણાથી આત્માનું હિત થતું હોય, તે નય વિચારવાનો હોય છે.
કોઇ આપણા શરીરને મારે, ત્યારે એમ વિચારીએ કે 'એ ક્યાં મને (મારા આત્માને) મારે છે ? એ તો મારા શરીરને મારે છે... અને શરીર એ કંઇ 'હું' નથી...' તો મારનાર પર ક્રોધ ન આવે... આ રીતે ભેદ વિચારવાથી આત્માનું હિત થાય...
પણ, કોઇ બીજાને મારીને એમ વિચારે કે 'મેં ક્યાં માર્યું ? એ તો મારા શરીરે તેને માર્યું... અને મારું શરીર કાંઇ 'હું' નથી...' તો એના આત્માનું અહિત થાય.. એટલે, આવા અવસરે ભેદ નથી વિચારવાનો, અભેદ જ વિચારવાનો છે - 'મેં જ માર્યું... પાપ કર્યું... મારે એનું પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ...' તો જ આત્માનું હિત થાય...
કોઈ આપણા નામને ગાળ આપે, ત્યારે વિચારવાનું છે કે 'નામ તો શરીરનું છે, આત્માનું નથી.. અને શરીર ક્યાં 'હું' છું ? એટલે એ મને ગાળ નથી આપતો..' તો ગાળ આપનાર પર ક્રોધ ન થાય.. આ રીતે ભેદ વિચારવાથી આત્માનું હિત થાય..
મારા ગુરુદેવ મને નામથી બોલાવે, ત્યારે એવું વિચારું કે 'નામ તો શરીરનું છે.. મારું નથી.. એટલે મારે જવાની જરૂર નથી..' તો મારા આત્માનું અહિત થાય.. એટલે એવા અવસરે ભેદ નથી વિચારવાનો, અભેદ જ વિચારવાનો છે - 'મને જ બોલાવે છે..' અને જવાનું છે - આજ્ઞાપાલન કરવાનું છે. તો જ આત્માનું હિત થાય.
ભગવતી સૂત્રમાં લખ્યું છે કે,
માત્ર ભેદ માનવો, અભેદ માનવો જ નહીં – તે તો એકાંતવાદ છે, મિથ્યાત્વ છે...
ભેદ-અભેદ બંને માનવા – એ જ અનેકાંતવાદ છે... તેમાં જ સમ્યગ્દર્શન છે...
ભેદજ્ઞાનને જ સમ્યગ્ જ્ઞાન માનવું - તે ભ્રમણા છે, મિથ્યાપંથોના પ્રચારની નીપજ છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Chhaya shah CHEMBUR