અનીતિનું ધન અને ધર્મ...
- Apr 6
- 2 min read

પ્રશ્ન : અનીતિથી ધન કમાયા છીએ. તો હવે ધર્મમાં વપરાય ?
ઉત્તર :શુદ્ધ દાનધર્મ એ જ છે કે જેમાં ન્યાયોપાર્જિત ધન વપરાયું હોય.
વાસ્તવમાં અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યના તમે માલિક જ નથી. જેને અન્યાય કરીને તમે કમાયા છો, તે જ તેનો માલિક છે.
શાસ્ત્રમાં લખ્યું છે – જિનાલય બનાવ્યા પછી પ્રભુની પ્રતિષ્ઠા વખતે શ્રાવક જાહેર કરે – ‘આમાં બીજાનું દ્રવ્ય આવી
ગયું હોય, તો તેટલું પુણ્ય તેના ભાગે જાઓ’ એ શ્રાવકની ભાવશુદ્ધિ ગણાય.
એટલે, અનીતિથી કમાયેલા ધનથી થતો દાનધર્મ, હકીકતમાં શુદ્ધ નથી. એટલે, જેને શુદ્ધ ધર્મ કરવાની ઇચ્છા હોય, તેણે
નીતિપૂર્વક મેળવેલું ધન જ તેમાં વાપરવું જોઇએ.
માર્ગાનુસારિતાનો પ્રથમ ગુણ મૂક્યો છે – ન્યાયસંપન્ન વિભવ. અન્યાયથી ધનનું ઉપાર્જન કરવું, તે માર્ગાનુસારિતા પણ
નથી. વળી, ‘ન્યાય’નો અર્થ પણ બહુ વિસ્તૃત છે.
વર્તમાન વ્યવસ્થાઓ મુજબ; માલમાં ભેળસેળ, તોલમાપમાં ગરબડ, ખોટી છાપ મારીને માલ આપવો, સમયસર પેમેન્ટ
ન આપવું, ખોટા ભાવતાલ કહેવા, વધુ પડતો નફો કરવો... આ બધું અનીતિ ગણાય
પ્રશ્ન : કરચોરી ?
એ પણ અનીતિ જ છે. સરકારના પૈસા પ્રધાનપણે ગરીબોના કલ્યાણ માટે છે, એટલે કરચોરી એ ગરીબોની ચોરી છે. કરચોરી કરીને કમાયેલ સંપત્તિના વાસ્તવિક માલિક ગરીબો છે.
ધર્મનું પૂરું ફળ મેળવવું હોય, તો શુદ્ધ ધર્મ આચરવો જોઇએ. અને તેના માટે દ્રવ્ય ન્યાયોપાર્જિત જોઇએ.
પણ જેની પાસે ન્યાયોપાર્જિત દ્રવ્ય છે જ નહીં, અથવા અલ્પ છે, અથવા ન્યાયોપાર્જિત અને અન્ય દ્રવ્યનું મિશ્રણ જ છે;
તેણે શું કરવું ? એ પ્રશ્નનો જવાબ એ છે કે અન્યાયથી કમાયો જ છે, તો ધનને વિલાસમાં વાપરવાના બદલે, ધર્મમાં વાપરે
- તે સારું જ છે. પણ તેણે એ યાદ રાખવું જોઇએ કે એ ધનનો વાસ્તવિક માલિક પોતે નથી, બીજા છે. અને એટલે, નામ
આપ્યા વગર જ ધન વાપરવું જોઇએ.
પ્રશ્ન : જો વાસ્તવિક માલિક બીજા જ હોય, તો તેને ધર્મમાં વાપરવાથી પોતાને શું લાભ ?
અલબત્ત, પોતાનું – નીતિથી કમાયેલું ધન વાપરે, તેટલો લાભ તો નથી જ. છતાં, સાવ લાભ ન થાય – તેવું પણ નથી.
તેટલા ધનની મમતા છોડે છે, માલિકી છોડે છે, પરિગ્રહ ઘટાડે છે...
જે ધર્મમાં વાપરે છે, તે ધર્મ પ્રત્યે, ધર્મ કરનારા પ્રત્યે બહુમાન છે...
એ બધાથી લાભ થાય છે.
કોઇક પોતાનું ધન બીજાને આપીને કહે કે ‘સારા ક્ષેત્રમાં વાપરજે’, તો તે બીજી વ્યક્તિને પણ તેનો વહીવટ કરવામાં લાભ તો થાય જ છે. સંઘના ટ્રસ્ટીઓ, બીજાએ આપેલા દ્રવ્યનો જ વહીવટ કરે છે. છતાં તેમાં પણ તેમને લાભ થાય છે.
અનીતિમાં જો કે અયોગ્ય રીતે મેળવેલું ધન છે, છતાં તેના સદ્વ્યયમાં લાભ તો થાય જ છે.
પૂર્વે કહી તેવી ભાવશુદ્ધિ તેણે જાળવવી જોઇએ. અને ભવિષ્યમાં નીતિથી જ કમાવાનું – અનીતિ બંધ કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ.
જેને દાન કરવું છે, તેણે શુદ્ધ દ્રવ્ય વાપરવું જોઇએ – એવો આગ્રહ અમે રાખીએ, કારણકે એ જ શુદ્ધ ધર્મ છે, એનાથી જ તેને પૂર્ણ લાભ થાય... પણ અન્યાયોપાર્જિત ધન હોય જ, તો તે ધર્મમાં ન જ વપરાય – એવું અમે ન કહીએ. (કારણકે તો પછી તે વિલાસમાં જાય, તેનાથી વધુ નુકસાન જાય.) હા, તેમાં પૂર્વોક્ત ભાવશુદ્ધિ જાળવવાનું કહીએ.
ક્વચિત્ કોઈ વ્યક્તિ લોકનિંદ્ય માર્ગે ધન કમાયો હોવાનું જગજાહેર હોય, તેવા લોકોનું ધન ધર્મમાં લેવાથી શાસનની નિંદા થવાની સંભાવના હોય... ત્યારે તેના ધનને લેવાનો ગીતાર્થો નિષેધ પણ કરે.
એ શાસનની અવહેલનાથી બચવા માટે છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.




Comments