સમિતિ-ગુપ્તિ...
- Jul 6
- 5 min read

समितिगुप्तीनां महाव्रतरूपत्वेन.. (ઉપદેશ પદ – ૬૦૨ ટીકા)
પ્રશ્ન : મહાવ્રતો મૂળગુણ રૂપ છે, સમિતિ-ગુપ્તિ તો ઉત્તરગુણરૂપ છે. તો સમિતિ-ગુપ્તિને મહાવ્રતરૂપ શી રીતે કહેવાય ?
ઉત્તર : આનું સમાધાન આવું સંભવે છે 🡺
મહાવ્રતો બધા અભાવ રૂપ છે – ત્યાગ રૂપ છે..
હિંસાનો ત્યાગ, મૃષાનો ત્યાગ.. યાવત્ પરિગ્રહનો ત્યાગ.
ત્યાગની પરિણતિ હોઈ શકે. અને એ પરિણતિ જ મહાવ્રત છે – મન-વચન-કાયાથી હિંસાદિ કરવા-કરાવવા-અનુમોદવા
નહીં. ત્યાગની પ્રવૃત્તિ શું હોય ?
પાસે હોય, તે પરિગ્રહ છોડી દેવા રૂપ પ્રવૃત્તિ એકાદવાર થાય, યાવજ્જીવ શું થાય ?
કશું નહીં.
પણ, જેનો ત્યાગ કર્યો છે, તે અનાભોગાદિથી પણ ન થઇ જાય, તેના માટે પ્રવૃત્તિ થઇ શકે. તે બધી ઉત્તરગુણરૂપ જ છે,
જેમ કે ચતુર્થવ્રતની નવ વાડ.
એટલે, પરિણતિરૂપ મહાવ્રતોને ક્રિયામાં ઉતારવા, ઉત્તરગુણોનું જ આચરણ કરવાનું હોય છે.
એટલે જ ઉત્તરગુણોના આચરણમાં વારંવાર શિથિલતા, એ મૂળગુણની હાનિનું કારણ બતાવેલું છે. (ઉપદેશમાળા)
એટલે જ અહીં સમિતિ-ગુપ્તિને મહાવ્રતરૂપ કહી છે.
વસ્તુતઃ મહાવ્રત એ પરિણતિ છે – નિશ્ચય છે.
સમિતિ-ગુપ્તિ એ આચાર છે – વ્યવહાર છે.
વ્યવહાર-નિશ્ચય પરસ્પર પર અવલંબિત છે.. બંને એકબીજાના કારણ પણ છે, કાર્ય પણ છે.. એકબીજાને પુષ્ટ કરનારા છે.. એટલે કથંચિદ્ એકરૂપ છે.
એટલે, સમિતિ-ગુપ્તિની ઉપેક્ષા, એ મહાવ્રત-પરિણતિના અભાવની દ્યોતક છે.
સમિતિ-ગુપ્તિની દૃઢતા, મહાવ્રત-પરિણતિ હોવાની દૃઢ સંભાવનાની દ્યોતક છે.
समिओ नियमा गुत्तो...
ગુપ્તિ = અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ.
એમાં બે સંભાવના છે.
શુભ પ્રવૃત્તિ હોય.
શુભ પ્રવૃત્તિ ન હોય.
બીજી સંભાવનાને આશ્રયીને, શુભાશુભ ઉભય પ્રવૃત્તિથી નિવૃત્તિને ગુપ્તિ કહેવાઇ છે; પણ ત્યાં એ સમજવાનું છે કે તે એક પેટાભેદ છે. તેમાં ગુપ્તિ તો અશુભથી નિવૃત્તિ રૂપ અંશ જ છે. શુભથી નિવૃત્તિ રૂપ અંશ ગુપ્તિ નથી; કારણકે શુભમાં પ્રવૃત્તિ હોય ત્યારે પણ ગુપ્તિ તો હોય જ છે.
(જેમ કે મનુષ્યને જીવ કહેવાય, તે આત્માંશને લઇને જ છે, મનુષ્યાંશને લઇને નહીં; કારણકે જીવ તો મનુષ્ય ન હોય, તેવા દેવાદિને પણ કહેવાય જ છે.)
આવા સીધાસાદા તાત્પર્યને એકાંત નિશ્ચયવાદી ક્રિયાવિરોધીઓ પકડી શકતા નથી, અને એટલે, બીજા પ્રકારની ગુપ્તિના શાસ્ત્રપાઠો બતાવીને શુભ ક્રિયાના ત્યાગનો ઉપદેશ કરે છે.
પહેલી સંભાવનામાં શુભ પ્રવૃત્તિ પણ હોય છે, અર્થાત્ સમિતિ પણ હોય છે.
સમિતિ = શુભમાં પ્રવૃત્તિ.
શુભમાં પ્રવૃત્તિ હોય, ત્યારે અશુભથી નિવૃત્તિ હોય જ, કારણકે શુભાશુભ બે પ્રવૃત્તિ સાથે ન થાય.
એટલે જ કહ્યું કે समिओ नियमा गुत्तो.
गुत्तो समिअत्तणंमि भइयव्वो – આ વિધાન બીજા પ્રકારની ગુપ્તિ વખતે સંભવે છે. એમાં પણ મુખ્યતયા વચન-કાયાને આશ્રયીને જ એ સંભવે છે, કારણકે મન તો પ્રવૃત્તિ વિનાનું કદી હોતું નથી.
એટલે, વચન-કાયાની શુભ પ્રવૃત્તિ ન હોય, ત્યારે ગુપ્ત છે, સમિત નથી – એવો તાત્પર્યાર્થ સમજવાનો છે.
(પાંચે સમિતિ, વચન-કાયાની પ્રવૃત્તિ રૂપ જ છે. વચન-કાયા વિના, માત્ર મનની પ્રવૃત્તિથી કોઇ સમિતિનું પાલન સંભવિત નથી.)
વ્યવહારમાં, વચન-કાયાથી પ્રવૃત્ત માણસને જ પ્રવૃત્ત કહેવાય છે. એને આશ્રયીને જ આ વિધાન છે.
જ્યાં મનની પણ શુભ પ્રવૃત્તિ ન હોય, તેવી ગુપ્તિ તો માત્ર મનોનિરોધ પછી ૧૪મા ગુણસ્થાને જ સંભવે છે; કારણકે ૧૩મા ગુણસ્થાન સુધી દ્રવ્યમન તો છે જ, એને આશ્રયી મનોયોગ પણ છે જ.
ઉત્સર્ગ-અપવાદ
પ્રશ્ન : ગુપ્તિ એ ઉત્સર્ગ છે, સમિતિ એ અપવાદ છે – આવું શાસ્ત્રવિધાન મળે છે. એનું અર્થઘટન એ જ ને કે શુભ પ્રવૃત્તિ આપવાદિક છે ? અર્થાત્ મુખ્ય મોક્ષમાર્ગ શુભાશુભ ઉભયથી નિવૃત્તિ રૂપ ગુપ્તિ જ છે ?
ઉત્તર : અપવાદ કોને કહેવાય ? कारणिको विधिः अपवादः – એ તેની વ્યાખ્યા છે. કારણ આવે, ત્યારે કરવાનું હોય, તે અપવાદ.
એ વ્યાખ્યા મુજબ તો ઉત્સર્ગ ઉપવાસ છે.
એકાસણું પણ (કારણિક હોવાથી) અપવાદ છે. શાસ્ત્રમાં બતાવેલ છ કારણોમાંનું એક કારણ હોય, તો જ વાપરવાનું છે.
એટલે શું એમ કહેવાય કે મુખ્ય મોક્ષમાર્ગ ઉપવાસ છે ? એકાસણું કરનાર કેવલી ભગવંતો કે જિનકલ્પિકો અપવાદનો આશરો લઇ રહ્યા છે ?
યાદ રહે, કેવલી ભગવંતનું ચારિત્ર નિરતિચાર છે – યથાખ્યાત છે. જિનકલ્પ નિરપવાદ યતિધર્મ છે.
તો તેઓ દ્વારા થતા એકાસણાને અપવાદ શી રીતે કહેવાય ?
જો ન કહેવાય, તો સમિતિને પણ અપવાદ ન કહેવાય, કારણકે જિનકલ્પિકો બધી જ સમિતિનું પાલન કરે જ છે. કેવલી ભગવંતો પણ સ્વોચિત સમિતિઓનું પાલન કરે છે.
વસ્તુતઃ ઉત્સર્ગ-અપવાદની વ્યાખ્યાઓમાં વિવક્ષાભેદે ભેદ છે.
સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં જે આચરવાનું હોય, તે ઉત્સર્ગ..
પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં જે આચરવાનું હોય, તે અપવાદ..
આવી વ્યાખ્યા ઉપદેશ પદ, ઉપદેશ રહસ્ય વગેરેમાં છે. એવો અપવાદ જિનકલ્પિકો કદી આચરતા નથી, પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં પણ ઉત્સર્ગને પકડી રાખવાનું સત્ત્વ – મનોબળ અને સામર્થ્ય તેઓ ધરાવે છે.
ઉત્સર્ગ-અપવાદની આ વ્યાખ્યાને આશ્રયીને જે ઉત્સર્ગ બને છે, તેના માટે કહી શકાય કે 🡺
ઉત્સર્ગ એ મુખ્ય મોક્ષમાર્ગ છે..
ઉત્સર્ગની જ રુચિ રાખવાની..
શક્ય હોય, ત્યાં સુધી ઉત્સર્ગ જ આચરવાનો..
અપવાદ આચરવો પડે, તો પણ લક્ષ્ય ઉત્સર્ગનું રાખવાનું..
આવાં બધાં વિધાનો, આ પ્રકારના ઉત્સર્ગ માટે જ છે.
જે વ્યાખ્યાઓ અપેક્ષીને સમિતિને કે એકાસણાને અપવાદ કહ્યો છે, તે વ્યાખ્યા મુજબ જે ઉત્સર્ગ બને છે (ઉપવાસ કે શુભાશુભ ઉભયથી નિવૃત્તિ રૂપ ગુપ્તિ), તેને આ વિધાનો લાગુ જ પડતાં નથી.
અને એટલે તે ઉત્સર્ગ મુખ્ય મોક્ષમાર્ગ હોવાનું કહી શકાતું નથી.
એટલે શુભ પ્રવૃત્તિ રૂપ સમિતિ પણ મુખ્ય મોક્ષમાર્ગ જ છે; કારણકે સાનુકૂળ સંયોગોમાં આચરવાનું હોય, તે ઉત્સર્ગ – એવી વ્યાખ્યા તેને પણ લાગુ પડે છે.
સાધુનું શરીર-સામર્થ્ય હોય તો વિહાર કરવો – એ જ ઉત્સર્ગ છે. એક સ્થાનમાં ૧ મહિનાથી વધુ રહેવું – તે તો અપવાદ છે, શરીર-સામર્થ્ય વગેરે ન હોવા રૂપ પ્રતિકૂળ સંયોગોમાં જ આચરવાનું છે.
જો વિહાર ઉત્સર્ગ હોય, તો શુભ પ્રવૃત્તિને અપવાદ કેમ કહેવાય ? વિહાર, પ્રવૃત્તિરૂપ જ છે.
વિહાર આવે, ત્યાં ઇર્યાસમિતિ આવવાની જ. જો વિહાર ઉત્સર્ગ હોય, તો ઇર્યાસમિતિને અપવાદ કેમ કહેવાય ?
પાંચ પ્રહરનો સ્વાધ્યાય એ ઉત્સર્ગ છે. સાધુએ સ્વાધ્યાય ઘોષપૂર્વક-બોલીને કરવાનો છે. વચનની પ્રવૃત્તિ પણ ત્યાં છે જ.
જો સ્વાધ્યાય ઉત્સર્ગ હોય, તો શુભ પ્રવૃત્તિને અપવાદ કેમ કહેવાય ?
બોલવાનું આવે, ત્યાં ભાષાસમિતિ આવવાની જ.
જો બોલીને કરાતો સ્વાધ્યાય ઉત્સર્ગ છે, તો ભાષાસમિતિને અપવાદ કેમ કહેવાય?
આ રીતે, બધી સમિતિ – શુભ પ્રવૃત્તિ માટે સમજવાનું છે.
આવું શાસ્ત્રનું તાત્પર્ય સમજ્યા ન હોવાથી જ, कारणिको विधिः अपवादः એવી વ્યાખ્યાને લઇને અપવાદ રૂપ બનતી સમિતિને મુખ્ય મોક્ષમાર્ગ ન માનવાનો ભ્રમ, ક્રિયાવિરોધી એકાંત નિશ્ચયવાદીઓને થયો છે, અને ફેલાવાય છે.
જો સમિતિને અપવાદરૂપ મનાય, તો મહાવ્રતો પણ અપવાદરૂપ બનશે; કારણકે ઉપરોક્ત શાસ્ત્રવચન, મહાવ્રતને સમિતિ-ગુપ્તિરૂપ જ બતાવે છે !
એટલે એકાંતવાદીઓએ ફેલાવેલ ભ્રમજાળમાં ફસાઇને, શુભ પ્રવૃત્તિને છોડવાની ગંભીર ભૂલ કરવા જેવી નથી.
સમિતિ કારણિક વિધિ હોવાનું તાત્પર્ય આ છે 🡺
સાધુ નિરર્થક હરફર ન કરે. આવશ્યક પ્રયોજને જ ચાલે. ત્યારે જ ઇર્યાસમિતિ હોય. એ આવશ્યક પ્રયોજન, વિહારાદિવત્ (સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં આચરણ કરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, અને તો ઇર્યાસમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.
સાધુ નિષ્પ્રયોજન બોલે નહીં. પ્રયોજન હોય, તો જ બોલે. ત્યારે જ ભાષાસમિતિ હોય. એ પ્રયોજન, સ્વાધ્યાયાદિ (સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, અને તો ભાષાસમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.
સાધુ કોઇ વસ્તુ નિષ્કારણ લે નહીં. પ્રયોજન હોય, તો જ લે. ત્યારે જ એષણાસમિતિ હોય. એ પ્રયોજન, (સાનુકૂળ દ્રવ્યાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, જેમ કે પાત્રા લેવા. ત્યારે એષણાસમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.
સાધુ ઉપકરણને નિષ્કારણ લે-મૂક કરે નહીં. પ્રયોજન હોય તો જ કરે. ત્યારે જ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ હોય. તે પ્રયોજન, (સાનુકૂળ દ્રવ્યાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, જેમ કે વિહાર કરવા માટે દાંડો લેવો. ત્યારે આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.
સાધુ નિષ્કારણ કોઇ ઉપકરણાદિ વસ્તુ ત્યાગે નહીં. પ્રયોજન હોય તો જ ત્યાગે. ત્યારે જ પારિષ્ઠાપનિકા સમિતિ હોય. તે પ્રયોજન (સાનુકૂળ દ્રવ્યાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, જેમ કે મૃત સાધુના શરીરનો ત્યાગ. ત્યારે પારિષ્ઠાપનિકા સમિતિ પણ ઉત્સર્ગ જ બને.
હકીકતમાં એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આપણા માટે સમિતિ જ મુખ્ય મોક્ષમાર્ગ છે. સમિતિ રહિત ગુપ્તિ, પ્રાયઃ અસંભવિત છે.
વચન-કાયાની શુભ પ્રવૃત્તિના આલંબન વિના મનને શુભમાં જોડી રાખવું અતિ દુષ્કર છે.
એટલે આપણે પુરુષાર્થ, સમિતિમાં જ કરવાનો છે.
ગુપ્તિ તો સમિતિ આવવાથી આવી જ જવાની છે – समिओ नियमा गुत्तो ।
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Excellent explanation. Throughly convincing.
તત્ત્વ ને બહું જ સરળતાથી ઉદાહરણ સાથે સમજાવ્યું છે.