મહત્તરાગાર...
- Jan 16
- 1 min read
Updated: Feb 12

મહત્ = મોટું. મહત્તર = વધારે મોટું. (મહત્તમ = સૌથી મોટું)
પચ્ચક્ખાણથી જે લાભ(કર્મનિર્જરા વગેરે) થવાનો હોય, તેનાથી વધારે મોટો લાભ જે કાર્યમાં થતો હોય, તેવું કાર્ય આવી પડે.. પ્રતિજ્ઞા-પાલન કરીને તે કાર્ય કરવું શક્ય ન હોય.. ત્યારે પ્રતિજ્ઞા-વિરુદ્ધ પ્રવૃત્તિ કરીને તે કાર્ય કરવામાં પચ્ચક્ખાણ ભાંગતું નથી.
જેમ કે કોઇ વ્યક્તિએ અટ્ઠમ વગેરે પચ્ચક્ખાણ કર્યું હોય.. સંઘનું અતિ મહત્ત્વનું એવું કાર્ય આવી પડે કે જે તેમના વિના થઇ શકે તેમ ન હોય.. પચ્ચક્ખાણ અખંડ રાખીને તેઓ કરી શકે તેમ ન હોય.. ત્યારે ગીતાર્થ ગુરુ ભગવંત તેમને પચ્ચક્ખાણ પારીને પણ કાર્ય કરવાનું જણાવે, તો પચ્ચક્ખાણ ભાંગતું નથી.
અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ‘કયા કાર્યમાં વધુ નિર્જરા છે ? પ્રતિજ્ઞા-પાલન કરીને પણ તે કાર્ય થઇ શકે તેમ છે કે નહીં ?’ તે નિર્ણય ગીતાર્થ ગુરુ ભગવંત જ કરી શકે છે. એટલે આ આગારથી છૂટ લેવા માટે ગીતાર્થ ગુરુ ભગવંતની અનુમતિ અનિવાર્ય છે. (ગીતાર્થ = જ્ઞાની.) જાતે છૂટ લેવામાં તો જાત સાથે છેતરપિંડીની શક્યતા રહે.
પ્રશ્ન : કોઇ ગીતાર્થનો સંયોગ ન હોય તો ?
ઉત્તર : ગીતાર્થ ગુરુ ભગવંત જ્યાં હોય ત્યાં નજીક રહેલ શ્રાવક દ્વારા તેમનો સંપર્ક કરવો – તે વર્તમાનકાળે અશક્ય નથી.
મહત્તરાગાર જિનશાસનની એક અજોડ વિશેષતા છે. પ્રતિજ્ઞા લીધી એટલે તેનું પાલન કરવું જ પડે – તેવો એકાંત પણ જિનશાસનમાં નથી, ત્યાં પણ સ્યાદ્વાદ છે. આખરે તો બધી જ આરાધના રાગ-દ્વેષના નાશ/હ્રાસ, કર્મનિર્જરા, જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ/શુદ્ધિ માટે છે. લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જે લાભ હોય, તેના કરતાં પ્રતિજ્ઞા છોડીને અન્ય કાર્ય કરવામાં જો વધુ લાભ હોય, તો જિનશાસન પ્રતિજ્ઞા-પાલનનો આગ્રહ રાખતું નથી. બીજું કાર્ય કરવામાં પ્રતિજ્ઞાભંગ માનતું નથી.
વિશ્વના કોઇ ધર્મમાં આવી વાત નથી. માત્ર જિનશાસન જ આ સિદ્ધાંત માને છે, એ તેની અદ્ભુત વિશેષતા છે.
Extract from Book Pachchakkhan written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments