આરાધનાનું સાચું ફળ શું ?
- Shraman Books
- Aug 31
- 1 min read
Updated: Sep 22

આયંબિલ, રસનાની આસક્તિ ઘટાડવા માટે કરવાનું છે.
તો એ આસક્તિ, આયંબિલના દિવસે જ ઘટાડવાની ?
કે આયંબિલના પરિણામરૂપે કાયમ માટે ઘટાડવાની ?
મોટા ભાગના લોકોના મનમાં એવું જ બેઠેલું છે કે આયંબિલના દિવસે આસક્તિ ત્યાગવાની. આયંબિલના પરિણામરૂપે, આત્મામાં રહેલા રસનાની આસક્તિના સંસ્કારો ઘસાવા જોઇએ..
અને એટલે પછીના દિવસોમાં પણ રસનાની આસક્તિ ઘટવી જોઇએ – એવું મોટા ભાગના લોકો સમજ્યા જ નથી. અને એટલે, પારણામાં જયાફત ઊડાવવા જોઇએ છે... ભરપૂર આસક્તિ પોષાય – તે રીતે વાપરે છે.
આયંબિલ કરીને પારણામાં જયાફત ઊડાડતા હોય, તેમની મશ્કરી કરવા માટે આ પદાર્થનો ઉપયોગ ન કરતાં. બીજા માટે તો આપણે એ જ વિચારવાનું છે કે ‘એક દિવસ માટે પણ આસક્તિ ઘટાડવાનો પુરુષાર્થ કર્યો – તે પણ પરાક્રમ છે... અનુમોદનાને યોગ્ય છે.. એમ કરતાં કરતાં જીવનમાંથી કાયમ માટે આસક્તિ ઘટાડશે...’ પણ, આપણા માટે વિચારવાનું છે કે જો આયંબિલના દિવસે જ આસક્તિ ઘટાડવાનું લક્ષ્ય હોય, પછીના દિવસોમાં આસક્તિ એવી ને એવી રહે – તેમાં આપણને કંઇ ખોટું દેખાતું જ ન હોય.. (કદાચ પુણ્યબંધ દ્વારા ભવાંતરમાં સદ્ગતિ-સામગ્રી મેળવવાની ઇચ્છા છે; પણ આત્મા પર રહેલા સંસ્કારના સ્તર પર તો કોઇ સુધારો કરવો જ નથી.)
એવી આરાધનાથી સંસાર શી રીતે ઘટવાનો ?
આયંબિલ કરનારો, કમ સે કમ તે દિવસે તો પાપબંધથી બચે છે.. એક દિવસ પણ બીજા આરાધકોના સહવાસમાં આવે છે.. આરાધનાના સ્થાનમાં આવે છે.. આવા ઘણા લાભો તેને થાય જ છે.
પણ, એ લાભોથી આપણે સંતોષ નથી માની લેવાનો. આપણા આત્મા પરના કુસંસ્કારો ઘટે, એ જ હકીકતમાં આરાધનાથી થતો સાચો લાભ છે – એ વાત આપણે આત્મસાત્ કરવાની છે.
Extract from Book Adhyatma-Yatra written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments