શાસનનાં કાર્યો અને સંક્લેશ...
- 4 days ago
- 2 min read

ક્યારેક કોઈ સુંદર કાર્ય કરતું હોય, તો પણ તેની નાની-નાની ભૂલો શોધીને બીજાઓ ટીકા-નિંદા કરે છે, તેનાથી કંટાળીને તેઓ કામ કરવાનું છોડી દે છે.
ક્યારેક કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે સંઘર્ષ પેદા થાય... તેમાં સંક્લેશ પણ થાય – આક્ષેપબાજી પણ થાય... અને છેવટે કામ કરવાનો વિચાર જ ઘણાં માંડી વાળે છે.
આવાં વાતાવરણના કારણે સજ્જનો-સારા માણસો લગભગ સંઘમાં-સંસ્થામાં કામ કરવા આગળ આવવાનું ટાળતા હોય – તેવું ચિત્ર અનેક ઠેકાણે જોવા મળે છે.
આ માટે પહેલાં તો એ જણાવવાનું કે સંસાર આખો જ વિચિત્ર છે. સર્વત્ર સંક્લેશ તો રહેવાના જ છે. માત્ર ક્યાંક કોઈ નિંદા કરે, સંઘર્ષ કરે, આક્ષેપ કરે, એટલા માત્રથી શાસનની સેવા છોડી દેવી – તે તો જૂ થવાના ભયથી કપડાં પહેરવાનું છોડી દેવા જેવું કામ છે.
‘જૂ’ના ડરે કોઈ કપડાં કાઢી નાખતું નથી. પણ કપડાં તપાસીને જૂ કાઢી નાખે છે.
તેમ એવી રીતે શાસનના કાર્યો કરવાનો પ્રયત્ન કરાય, કે જેમાં સંક્લેશ વિ. થાય જ નહીં...કદાચ થાય, તો પણ તેમાં આપણે તીવ્ર રાગ-દ્વેષ-આર્તધ્યાન વિ. ન કરીએ... જે સંક્લેશાદિ થયા હોય, તેનું પ્રાયશ્ચિત્ત કરીએ... તો તેનું નુકસાન નાનું છે, નહીં જેવું છે; જ્યારે શાસનસેવાનો લાભ ઘણો મોટો છે.
શાસનના કાર્યો જ છોડી દેવામાં તો ઘણા નુકસાન છે 🡺
➡️ શાસનની સેવાથી બંધાતું પ્રચંડ પુણ્ય બંધ થઈ જાય.
➡️ ફાજલ પડેલો સમય, સંસારના આરંભ-સમારંભમાં જાય, તેમાં પણ દુર્ધ્યાન જ થાય, તેથી વધુ કર્મ બંધાય.
➡️ આ રીતે સજ્જનો જો સંઘ-સંસ્થામાંથી નીકળી જાય, તો પછી દુર્જનોને મોકળું મેદાન મળે, અને તેઓ સંસ્થાનો
ઉપયોગ કરીને સ્વાર્થ સાધી લે.
એવું પણ જોવા મળ્યું છે કે ઘણીવાર ખૂબ સુંદર કાર્ય કરી રહેલા સજ્જનોને દૂર કરવા માટે દુર્જનો આ જ યુક્તિ અજમાવતા હોય છે. તેમની નિંદા કરે... તેમના ચારિત્ર્ય પર આક્ષેપ કરે... ઝઘડા ઊભા કરે... તેનાથી કંટાળીને પેલા સજ્જન સંસ્થા છોડી દે અને પછી બાકીનાને ફાવતું કરવા મળી જાય.
એટલે , આવા નાના નાના સંઘર્ષો વિ.ને કારણે સંનિષ્ઠ શાસનસેવકોએ કદી સંઘ-સંસ્થા છોડવા નહીં.
Extract from Book Samkit Nu Mul Janiye Jee written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments