સૂક્ષ્મતમ આચાર-નિરૂપણ...
- Mar 30
- 2 min read

પ્રભુના શાસનમાં આચારોનું જે અતિસૂક્ષ્મ નિરૂપણ છે, તે રોમાંચ ખડા કરી દે તેવું છે.
સાધુ ભગવંતે વિહાર કરવાનો હોય, તેનો વિધિ શાસ્ત્રમાં બતાવ્યો છે. તેમાં કેટલું ઝીણવટભર્યું નિરૂપણ છે ! તે જુઓ ➔
એક રસ્તો પથ્થરવાળો હોય, બીજો રસ્તો ધૂળવાળો હોય... તો કયા રસ્તે જવું ?
એક રસ્તે પાણી હોય, બીજા રસ્તે ઘાસ હોય... તો કયા રસ્તે જવું ?
આવા ઢગલાબંધ વિકલ્પો બતાવીને, તેમાંથી કયા રસ્તે જવું – તે બતાવ્યું છે.
વિહાર ક્યારે (કયા સમયે) કરવો ?
કેવા સંયોગોમાં બપોરે ?
કેવા સંયોગોમાં સવારે ?
કેવા સંયોગોમાં વહેલી પરોઢે વિહાર કરવો ?
તે બતાવ્યું છે.
વિહાર શરૂ કરતી વખતે કોણે પહેલાં નીકળવાનું ? કોણે છેલ્લે નીકળવાનું ? તે જણાવ્યું છે.
છૂટા પડી જવાય, તો પાછા ભેગા શી રીતે થવાનું ? તે પણ બતાવ્યું છે.
રસ્તો પૂછવો પડે, તો કોને પૂછવો ? પુરુષ કે સ્ત્રી ? બાળ, જુવાન કે વુદ્ધ ? તે પણ બતાવ્યું છે.
વિહાર નક્કી હોવાના સમાચાર, લોકોને કેવા શબ્દોમાં જણાવવાના ? તે પણ જણાવ્યું છે.
રસ્તામાં પાણી વાપરવું પડે, તો ક્યાં વાપરવું ? તે બતાવ્યું છે.
રસ્તામાં ગોચરી વહોરવી પડે, તો ક્યાં વહોરવી ? ક્યાં વાપરવી ? તે બતાવ્યું છે.
સામેના ગામે સવારે પહોંચીએ તો શું કરવાનું ?
બપોરે પહોંચીએ તો શું કરવાનું ?
સાંજે પહોંચીએ તો શું કરવાનું ?
તે બતાવ્યું છે.
સામેના ગામે સાધુ ભગવંતો હોય તો શું કરવાનું ?
સાધ્વી ભગવંતો હોય તો શું કરવાનું ?
શ્રાવકો હોય, તો શું કરવાનું ?
શ્રાવકો ન હોય, તો શું કરવાનું ?
તે બધું બતાવ્યું છે.
સામેના ગામે કોણે પહેલા અંદર પ્રવેશ કરવાનો ? કોણે પાછળ રહેવાનું ? તે પણ બતાવ્યું છે.
જે મકાનમાં રહેવાનું હોય, તેમાં કોણે પહેલાં પ્રવેશ કરવાનો ? કોણે પાછળ રહેવાનું ? તે પણ બતાવ્યું છે.
ગામમાં મકાન કયા સ્થાને ગોતવાનું ? તે પણ બતાવ્યું છે.
મકાનમાં આચાર્યનું આસન ક્યાં રાખવાનું ?
બીજા સાધુઓએ સંથારા કેવી રીતે કરવાના ?
જગ્યા ઓછી હોય, તો શું કરવાનું ?
જગ્યા વધારે હોય, તો શું કરવાનું ?
જગ્યા માપસર હોય, તો શું કરવાનું ?
બે સંથારા વચ્ચે બાજુમાં-ઉપર-નીચે કેટલી જગ્યા ખાલી રાખવાની ?
તે પણ બતાવ્યું છે.
ધર્મશાળા જેવા મકાનમાં ઉતરવું પડે, જ્યાં બીજા મુસાફરો આવતા હોય, તો શું કાળજી રાખવાની ?
તે મુસાફરો ભદ્રિક હોય, તો શું કાળજી રાખવાની ?
તે મુસાફરો વિધર્મી હોય, તો શું કાળજી રાખવાની ?
તે પણ બતાવ્યું છે.
થાકી ગયા ?
વર્તમાન પરિભાષામાં કહું તો ISO 9000 સ્ટાન્ડર્ડમાં ઉત્તીર્ણ થવા માટે જે રીતે Procedure Well-Defined હોવી જોઇએ; તે રીતે બધું બતાવેલું છે.
આ તો માત્ર વિહારની વાત થઇ. આવું જ ગોચરી માટે છે. (આનાથી વધારે છે.)
દુનિયાના કોઇ ધર્મમાં આટલું ઝીણવટપૂર્વકનું નિરૂપણ નહીં મળે.
નહીં મળે, નહીં મળે, નહીં મળે રે... શાસન આવું જગતમાં નહીં મળે રે !
અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.




Any subject, Gurudev clarify in deeply With super argument with Shastra, Siddhant