top of page

સૂક્ષ્મતમ આચાર-નિરૂપણ...

  • Mar 30
  • 2 min read

  • પ્રભુના શાસનમાં આચારોનું જે અતિસૂક્ષ્મ નિરૂપણ છે, તે રોમાંચ ખડા કરી દે તેવું છે.

    સાધુ ભગવંતે વિહાર કરવાનો હોય, તેનો વિધિ શાસ્ત્રમાં બતાવ્યો છે. તેમાં કેટલું ઝીણવટભર્યું નિરૂપણ છે ! તે જુઓ ➔

  • એક રસ્તો પથ્થરવાળો હોય, બીજો રસ્તો ધૂળવાળો હોય... તો કયા રસ્તે જવું ?

    એક રસ્તે પાણી હોય, બીજા રસ્તે ઘાસ હોય... તો કયા રસ્તે જવું ?

    આવા ઢગલાબંધ વિકલ્પો બતાવીને, તેમાંથી કયા રસ્તે જવું – તે બતાવ્યું છે.

  • વિહાર ક્યારે (કયા સમયે) કરવો ?

    કેવા સંયોગોમાં બપોરે ?

    કેવા સંયોગોમાં સવારે ?

    કેવા સંયોગોમાં વહેલી પરોઢે વિહાર કરવો ?

    તે બતાવ્યું છે.

  • વિહાર શરૂ કરતી વખતે કોણે પહેલાં નીકળવાનું ? કોણે છેલ્લે નીકળવાનું ? તે જણાવ્યું છે.

  • છૂટા પડી જવાય, તો પાછા ભેગા શી રીતે થવાનું ? તે પણ બતાવ્યું છે.

  • રસ્તો પૂછવો પડે, તો કોને પૂછવો ? પુરુષ કે સ્ત્રી ? બાળ, જુવાન કે વુદ્ધ ? તે પણ બતાવ્યું છે.

  • વિહાર નક્કી હોવાના સમાચાર, લોકોને કેવા શબ્દોમાં જણાવવાના ? તે પણ જણાવ્યું છે.

  • રસ્તામાં પાણી વાપરવું પડે, તો ક્યાં વાપરવું ? તે બતાવ્યું છે.

  • રસ્તામાં ગોચરી વહોરવી પડે, તો ક્યાં વહોરવી ? ક્યાં વાપરવી ? તે બતાવ્યું છે.

  • સામેના ગામે સવારે પહોંચીએ તો શું કરવાનું ?

    બપોરે પહોંચીએ તો શું કરવાનું ?

    સાંજે પહોંચીએ તો શું કરવાનું ?

    તે બતાવ્યું છે.

  • સામેના ગામે સાધુ ભગવંતો હોય તો શું કરવાનું ?

    સાધ્વી ભગવંતો હોય તો શું કરવાનું ?

    શ્રાવકો હોય, તો શું કરવાનું ?

    શ્રાવકો ન હોય, તો શું કરવાનું ?

    તે બધું બતાવ્યું છે.

  • સામેના ગામે કોણે પહેલા અંદર પ્રવેશ કરવાનો ? કોણે પાછળ રહેવાનું ? તે પણ બતાવ્યું છે.

  • જે મકાનમાં રહેવાનું હોય, તેમાં કોણે પહેલાં પ્રવેશ કરવાનો ? કોણે પાછળ રહેવાનું ? તે પણ બતાવ્યું છે.

  • ગામમાં મકાન કયા સ્થાને ગોતવાનું ? તે પણ બતાવ્યું છે.

  • મકાનમાં આચાર્યનું આસન ક્યાં રાખવાનું ?

    બીજા સાધુઓએ સંથારા કેવી રીતે કરવાના ?

    જગ્યા ઓછી હોય, તો શું કરવાનું ?

    જગ્યા વધારે હોય, તો શું કરવાનું ?

    જગ્યા માપસર હોય, તો શું કરવાનું ?

    બે સંથારા વચ્ચે બાજુમાં-ઉપર-નીચે કેટલી જગ્યા ખાલી રાખવાની ?

    તે પણ બતાવ્યું છે.

  • ધર્મશાળા જેવા મકાનમાં ઉતરવું પડે, જ્યાં બીજા મુસાફરો આવતા હોય, તો શું કાળજી રાખવાની ?

    તે મુસાફરો ભદ્રિક હોય, તો શું કાળજી રાખવાની ?

    તે મુસાફરો વિધર્મી હોય, તો શું કાળજી રાખવાની ?

    તે પણ બતાવ્યું છે.

  • થાકી ગયા ?

    વર્તમાન પરિભાષામાં કહું તો ISO 9000 સ્ટાન્ડર્ડમાં ઉત્તીર્ણ થવા માટે જે રીતે Procedure Well-Defined હોવી જોઇએ; તે રીતે બધું બતાવેલું છે.

    આ તો માત્ર વિહારની વાત થઇ. આવું જ ગોચરી માટે છે. (આનાથી વધારે છે.)

    દુનિયાના કોઇ ધર્મમાં આટલું ઝીણવટપૂર્વકનું નિરૂપણ નહીં મળે.

    નહીં મળે, નહીં મળે, નહીં મળે રે... શાસન આવું જગતમાં નહીં મળે રે !


અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Hiteshkumar Vinodchandra Shah
Mar 30
Rated 5 out of 5 stars.

Any subject, Gurudev clarify in deeply With super argument with Shastra, Siddhant

Like
bottom of page