કક્ષાભેદે ધર્મભેદ...
- Apr 27
- 2 min read

જિનશાસનની એક અપ્રતિમ વિશેષતા છે ➔ જીવની કક્ષા અનુસારે તેના માટેનો ધર્મ બદલાય છે.
કરપાત્રી લબ્ધિ ધરાવનાર સાધુ પાત્રા ન રાખે, અને હાથમાં વાપરે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ રાખવાથી થઇ શકતા સંભવિત મૂર્ચ્છા વગેરે દોષોથી બચાય છે, અને લબ્ધિ હોવાથી હાથમાં વાપરવામાં ઢોળાતું નથી.)
તેવી લબ્ધિ ન ધરાવનાર સાધુ પાત્રા રાખે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ ન રાખે, તો હાથમાં વાપરવામાં ઢોળાય. લોકનિંદા થાય... વગેરે અનેક દોષો છે.)
જેઓએ પર્યાપ્ત શાસ્ત્રાભ્યાસ કરી લીધો છે, તેવા જિનકલ્પી વગેરે નિરપેક્ષ સાધુઓ પરસ્પર વાતચીત પણ ન કરે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે પરસ્પર વાતચીતથી તેમને કશો લાભ નથી, અને અપેક્ષા ઊભી થવી વગેરે નુકસાનો સંભવિત છે.)
જેમને શાસ્ત્રાભ્યાસ કરવાનો છે, તેવા સાધુઓ પરસ્પર સ્નેહ રાખે, ભણે-ભણાવે વગેરે પરસ્પર વ્યવહાર રાખે... તે તેમના માટે ધર્મ છે. (કારણકે તેમાં જ્ઞાનાદિની વૃદ્ધિનો લાભ છે.)
જેમણે સમગ્ર સંસારનો ત્યાગ કર્યો છે, તેવા સાધુ ભગવંતો પૈસા કમાય નહીં, રાખે નહીં, બધું જ યાચના દ્વારા મેળવે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે પૈસાની મૂર્ચ્છા વગેરે દોષોથી બચે છે.)
સંસારમાં રહેનાર ગૃહસ્થો યાચના દ્વારા જીવનનિર્વાહ કરે – તે તેમના માટે અધર્મ છે (કારણકે તેમાં લોકનિંદા વગેરે દોષો છે.)
સાચા દેવ-ગુરુ-ધર્મની સમજ જેમને છે, તેઓ સુદેવ સિવાય કોઇને ન નમે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે બીજાને નમવામાં તેમના રાગાદિ દોષોની અનુમોદનાનો દોષ લાગે છે.)
જેમને હજુ સાચા દેવ-ગુરુ-ધર્મની સમજ નથી, તેઓ કોઇપણ દેવને માને –નમે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે તેનાથી તેઓ પાપભીરુ બને છે, પાપથી બચે છે, નાસ્તિકતાથી દૂર રહે છે...)
ટૂંકમાં, જિનશાસન. આત્મ-કલ્યાણ કરવા ઇચ્છતા દરેક જીવને સ્વીકારે છે... તેના કલ્યાણ માટેનો માર્ગ – તેની ભૂમિકા-સંયોગોના આધારે બતાવે છે... કોઇ એક ચોક્કસ માર્ગનો આગ્રહ રાખતું નથી... આગ્રહ એક જ વાતનો હોય છે – દોષો ઘટવા જોઇએ...
એટલે જ, પરસ્ત્રીગમન જેવું અધમ પાપ છોડી ન શકનાર વંકચૂલ માટે પણ જિનશાસન કલ્યાણનો માર્ગ બતાવે છે – કમ સે કમ રાજાની રાણીને છોડી દેજે.
અને એના પ્રભાવે વંકચૂલે આત્મ-કલ્યાણ સાધી પણ લીધું છે...
જગતના સર્વ (પાત્ર) જીવો માટે પોતપોતાની ભૂમિકા અનુસાર આત્મ-કલ્યાણનો માર્ગ બતાવનાર મારું જિનશાસન મહાન્ છે !
અહો ! જિનશાસનમ્ !
અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Khub khub anumodna for explaining in detail for every jeev who are eligible for our jain Dharma and moksh