top of page

દૃષ્ટિરાગ...

  • Mar 16
  • 2 min read


  • દૃષ્ટિરાગનો અર્થ એવો કરાય છે, કે ‘ખોટી વાતની પક્કડ.’

    પણ આ અર્થમાં કેટલીક સમસ્યા છે.

    ‘ખોટી’એટલે શું ?

    વ્યક્તિને પોતાને તો પોતાની વાત સાચી જ લાગતી હોય છે. તો જ તે પક્કડ રાખે ને ?

    જો ખોટીનો અર્થ એ રીતે કરાય કે સર્વજ્ઞની દૃષ્ટિએ ખોટી.. તો વર્તમાનકાળમાં તો

    તેનો નિર્ણય સંભવ જ નથી.

    સહુ એમ જ માનશે કે ‘મને જે સાચું લાગે છે તે જ સર્વજ્ઞની દૃષ્ટિમાં સાચું છે. એટલે

    મારી પક્કડ સાચી વાતની જ છે.’

  • તો દૃષ્ટિરાગ કોને કહેવો ?

    ‘મારી બુદ્ધિમાં જે સાચું લાગે તે જ સાચું..

    મારી બુદ્ધિમાં જે ખોટું લાગે તે ખોટું.. પછી ભલે તે વાત કોઈની પણ હોય.’

    આવી પક્કડ એ પણ દૃષ્ટિરાગ જ છે, કદાગ્રહ છે.

    જ્યાં એવી પરિણતિ હોય, કે ‘મારી બુદ્ધિમાં સમજાય કે નહીં, પણ જ્ઞાની એવા

    ગુણવાન્ (સંવિગ્ન-ગીતાર્થ) ની વાત મારે સ્વીકારી લેવી.’ તે જ શ્રદ્ધા છે,

    દૃષ્ટિરાગનો અભાવ છે.

    આ વાતને શાસ્ત્રાધારો પણ છે જ.

    આવશ્યક નિર્યુક્તિમાં દશ સામાચારીના અધિકારમાં સંવિગ્ન-ગીતાર્થના

    વચનને નિર્વિકલ્પે (બુદ્ધિની કસોટીએ ચડાવ્યા વિના) તહત્તિ કરવાનું વિધાન

    છે. તેવું ન કરનારને મિથ્યાત્વ દોષની આપત્તિ આપી છે. દૃષ્ટિરાગ,

    મિથ્યાત્વનો જનક છે – એ તો આપણે જાણીએ જ છીએ.

    કમ્મપયડીની ટીકામાં, એક આજ્ઞાને પણ ન સ્વીકારનારનો બાકીની આજ્ઞાનો

    સ્વીકાર પણ શ્રદ્ધારૂપ નથી – એવું જણાવ્યું છે.

તેનો પરમાર્થ એ જ સંભવે છે કે જેટલી આજ્ઞા સ્વીકારી છે, તે બુદ્ધિમાં બેઠી –

તેથી જ સ્વીકારી છે. એટલે જ જે આજ્ઞા બુદ્ધિમાં ન બેસી – તેનો અસ્વીકાર થયો છે.

  • એટલે નિર્ણય એવો થાય કે જયાં પણ એવો આગ્રહ હોય કે ‘મને સમજાય તો જ,

    તેટલું જ સ્વીકારવું’ – એ દૃષ્ટિરાગ જ છે. પછી સાચી વાત સાચી સમજાઈ હોવાથી

    સ્વીકારે, તો પણ તે શ્રદ્ધા નથી.

    જ્યાં એવી પરિણતિ આત્મસાત્ થાય, કે ‘ગીતાર્થોની બુદ્ધિ-અનુભવ વગેરે

    વિશાળ છે.. મારી ટૂંકી બુદ્ધિ વગેરેથી તેમનાં વચનો ન સમજાય તે, મારી બુદ્ધિનો

    વાંક છે.. પણ વાત તો તેમની જ સાચી છે.’ તે શ્રદ્ધા છે. તે જ દૃષ્ટિરાગથી મુક્ત

    કરે છે, પ્રજ્ઞાપનીયતા લાવે છે.

  • માર્ગાનુસારી જીવ, દ્રવ્યથી જિનશાસન ન પામ્યો હોય તો પણ ગાઢ દૃષ્ટિરાગથી

    મુક્ત થયો હોવાથી પ્રજ્ઞાપનીય બને છે, અને તેથી કાળક્રમે જિનશાસન પામે છે.

    અભવ્ય કે ભારેકર્મી જીવો દ્રવ્યથી જિનશાસન પામ્યા હોય તો પણ આ દૃષ્ટિરાગના

    કારણે શ્રદ્ધાના સ્તર સુધી પહોંચી શકતા નથી, અને તેથી મળેલું જિનશાસન સાર્થક

    કરી શકતા નથી.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page